ખેડૂતોના સમર્થનમાં ઉદ્ધવ ઠાકરે અને શરદ પવાર પણ મેદાનમાં

નવી દિલ્હી, નવા કૃષિ કાયદા વિરુદ્ધ મહારાષ્ટ્રના મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરે અને નેશનલ કોંગ્રેસ પાર્ટી (NCP) સુપ્રીમો શરદ પવાર આંદોલન કરી રહેલા ખેડૂતોના સમર્થનમાં પ્રદર્શન કરશે. આ અંગે રાજ્યના મંત્રી નવાબ મલિકે જાહેરાત કરી છે.
કેટલાક ખેડૂત સંગઠનોએ મુંબઈમાં 23 થી 25 જાન્યુઆરી સુધી વિરોધ પ્રદર્શન કરવાની યોજના બનાવી છે. NCP પ્રવક્તા નવાબ મલિકના જણાવ્યા મુજબ, શરદ પવાર 25 જાન્યુઆરીએ દક્ષિણ મુંબઈના આઝાદ મેદાનમાં થનારા પ્રદર્શનમાં ભાગ લેશે.
અગાઉ પણ NCP કૃષિ કાયદાનો વિરોધ કરી ચૂકી છે. મુખ્યમંત્રી અને સત્તાધારી મહા વિકાસ આઘાડી શિવસેના , કોંગ્રેસ અને NCP ગઠબંધનના નેતા પણ તેમા સામેલ થશે.
બીજી તરફ કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધીએ કૃષિ કાયદા અંગે વડાપ્રધાન નરેન્દ્ર મોદી પર નિશાન સાધ્યું છે. રાહુલે દાવો કર્યો છે કે, નવા કાયદાથી કૃષિ સેક્ટર પર 3-4 ઉદ્યોગપતિઓનો એકાધિકાર થઈ જશે. જેની કિંમત મધ્યમ વર્ગ અને યુવાઓએ ચૂકવવી પડશે. રાહુલે કહ્યું કે, સરકારના પ્રયત્નો છતાં ખેડૂતો બિલકુલ થાકવાના નથી, કારણ કે તેઓ PM મોદીથી વધુ સમજદાર છે.