ગાંધીધામ પાસે રિક્ષા પર ટ્રક ફરી વળતાં એક મહિલાનું મોત
ગાંધીધામ, ઔદ્યોગિક શહેર ગાંધીધામમાં આજે સોમવારે સવારે 11.30 વાગ્યાની આસપાસ ઝોન તરફ જતી એક ટ્રક છકડોરિક્ષા ઉપર ચડી જતાં ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો.
અકસ્માતમાં 65 વર્ષીય ગંગાબેન કરશનભાઇ શ્રીમાળી નામની મહિલાનું ઘટનાસ્થળે જ કમકમાટીભર્યું મોત નીપજ્યું છે, જ્યારે 40 વર્ષીય રિક્ષાચાલક અનવર આમદ કુંભારને ગંભીર પ્રકારની ઈજાઓ પહોંચતાં ખાનગી હોસ્પિટલ ખાતે સારવાર અર્થે દાખલ કરવામાં આવ્યો છે. અકસ્માતમાં ઘાયલ લોકોને ઉપસ્થિત લોકોએ જેસીબીની મદદ વડે બહાર લાવી 108 એમ્બ્યુલન્સ મારફત ઈલાજ માટે ખસેડાયા છે.
જોકે રિક્ષામાં કુલ કેટલા લોકો સવાર હતા એની ગાંધીધામ બી ડિવિઝન પોલીસ તપાસ ચલાવી રહી છે. શહેરના કાર્ગો માર્ગ પર આવેલી બાપા સીતારામ મઢી પાસે સર્જાયેલા આ અકસ્માતના પગલે લોકોની ભારે ભીડ જમા થઈ જવા પામી હતી.
આજે સવારે ગાંધીધામ શહેરથી ઝોન તરફ આગળ જતી રિક્ષા ઉપર પાછળથી આવતી ટ્રક ચડી ગઈ હતી અને મુસાફરો સાથેની રિક્ષા ટ્રક તળે દબાઈ ગઈ હતી. આ અંગે પોલીસનાં સૂત્રોમાંથી મળતી પ્રાથમિક માહિતી મુજબ અકસ્માતમાં એક મહિલાનું મૃત્યુ નીપજ્યું છે, જ્યારે એક વ્યક્તિને ભારે ઈજાઓ પહોંચી છે. કુલ કેટલા લોકો રિક્ષામાં સવાર હતા એની તપાસ શરૂ કરાઇ છે.