ગાંધીનગરના સચિવાલયમાં SRP જવાને બેરેકમાં પોતાની રાઈફલ વડે ફાયર કરી જીવન ટૂંકાવ્યું
(પ્રતિનિધિ) ગાંધીનગર, ગાંધીનગર સચિવાલય ખાતે પોઈન્ટ પર ફરજ બજાવતા એસઆરપી ગૃપ – ૩ નાં જવાને આજે સેકટર – ૨૭ ખાતે પોતાની બેરેક નીચે પોતાની રાયફલ વડે ગોળી મારીને આપઘાત કરી લેતાં ચકચાર મચી જવા પામી છે. મૂળ પાટણનાં જવાનની આત્મહત્યા પાછળનું ચોક્કસ કારણ જાણી શકાયું નથી.
આ અંગે સેકટર – ૨૧ પોલીસે સ્થળ પર પહોંચી તપાસનો દોર હાથ ધર્યો છે. મૂળ પાટણ ખાતે રહેતા અને એસઆરપી ગૃપ – ૩ માં ફરજ બજાવતા ૪૦ થી ૪૫ વર્ષીય ધનજીભાઈ પરમાર છેલ્લા ત્રણ ચાર મહિનાથી ગાંધીનગર સચિવાલય ખાતેના પોઈન્ટ પર ફરજ બજાવતા હતા.
જેઓ પોતાની કંપની સાથે સેકટર – ૨૭ એસપી કચેરી ખાતે આવેલ બેરેકમાં રહેતા હતા. ગઈકાલે બપોરના સમયે ધનજીભાઈ અન્ય જવાનો સાથે પોતાની બેરેક ખાતે આવ્યા હતા. તે સમયે કંપનીની મુવમેન્ટ ચાલી રહી હતી. આ દરમ્યાન ધનજીભાઈએ પોતાની રાયફલ વડે ફાયર કરીને આપઘાત કરી લીધો હતો. અચાનક ફાયરિંગનો અવાજ આવતા કંપનીના અન્ય જવાનો દોડી આવ્યા હતા.
પરંતુ ગોળી દાઢીના નીચેના ભાગથી આરપાર નીકળી ગઈ હતી બનાવની જાણ થતાં સેકટર – ૨૧ પોલીસ પણ સ્થળ પર દોડી ગઈ હતી. અને તપાસનો દોર શરૂ કર્યો હતો. આ અંગે પોલીસ સૂત્રોએ જણાવ્યું હતું કે ધનજીભાઈ પરમાર નામના જવાને રાયફલ વડે ફાયરિંગ કરીને આપઘાત કરી લીધો છે.
જેઓ મૂળ પાટણના છે. અને છેલ્લા ચારેક માસથી અહીં રહીને સચિવાલય ખાતેના પોઈન્ટ પર ફરજ બજાવતા હતા. હાલમાં પોસ્ટમોર્ટમ સહિતની કાનૂની કાર્યવાહી શરૂ કરી તેમના પરિવારને જાણ કરવામાં આવી છે.