Western Times News

Gujarati News

ગાંધી જયંતિઃ વડાપ્રધાન મોદી, સોનિયા ગાંધી સહિત અનેક નેતાઓ પહોંચ્યા રાજઘાટ

નવી દિલ્હી, રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધી અને પૂર્વ વડાપ્રધાન લાલ બહાદુર શાસ્ત્રીની જયંતિ નિમિત્તે વડાપ્રધાન નરેન્દ્ર મોદી, સોનિયા ગાંધી સહિત અનેક નેતાઓએ શ્રદ્ધાંજલિ અર્પિત કરી છે. વડાપ્રધાન મોદી શનિવારે સવારે રાજઘાટ પહોંચ્યા હતા અને બાપુની સમાધિ પર પુષ્પ અર્પિત કરીને તેમને શ્રદ્ધાંજલિ આપી હતી. ત્યાર બાદ વિજય ઘાટ જઈને તેમણે પૂર્વ વડાપ્રધાન લાલ બહાદુર શાસ્ત્રીને પણ શ્રદ્ધાંજલિ અર્પિત કરી હતી.

તે સિવાય કોંગ્રેસના વચગાળાના અધ્યક્ષ સોનિયા ગાંધી, દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ, મનીષ સિસોદિયાએ પણ રાજઘાટ પહોંચીને મહાત્મા ગાંધીને શ્રદ્ધાંજલિ અર્પિત કરી હતી.

વડાપ્રધાન મોદીએ ટ્વીટમાં લખ્યું હતું કે, રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીને તેમની જન્મ જયંતિ પર વિનમ્ર શ્રદ્ધાંજલિ. પૂજ્ય બાપુનું જીવન અને આદર્શ દેશની દરેક પેઢીને કર્તવ્ય પથ પર ચાલવા માટે પ્રેરિત કરતા રહેશે. વડાપ્રધાન મોદીએ દેશના પૂર્વ વડાપ્રધાન લાલ બહાદુર શાસ્ત્રીને શ્રદ્ધાંજલિ અર્પિત કરતા લખ્યું હતું કે, મૂલ્યો અને સિદ્ધાંતો પર આધારીત તેમનું જીવન દેશવાસીઓ માટે હંમેશા પ્રેરણાસ્ત્રોત બની રહેશે.

તે સિવાય ઉપરાષ્ટ્રપતિ વેંકૈયા નાયડુ અને લોકસભા સ્પીકર ઓમ બિરલાએ પણ રાજઘાટ પહોંચીને મહાત્મા ગાંધીની સમાધિ પર પુષ્પ અર્પિત કર્યા હતા.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.