ગારિયાધારમાં તેલના બેનંબરી કારોબાર સામે તંત્રનું મૌન
ગારિયાધાર, ગારિયાધાર શહેર બેનંબરી ધંધા માટે હબ બનતું જતું હોવાની ફરિયાદ ઉઠી છે. એકલદોકલ વેપારીઓને બાદ કરતા શહેરમાં ભેળસેળયુકત તેલનો મોટા પ્રમાણમાં વેપલો ચાલી રહ્યો છે.
શહેરના તેલના ધંધા સાથે સંકળાયેલા વેપારીઓ દ્વારા પોતાની બ્રાન્ડ ઉભી કરવામાં આવી છે. પોતાના અલગ અલગ માર્કા મારી તેલનું બજારમાં વેચાણ કરવામાં આવે છે. આવું ભેળસેળીયું તેલ ગારિયાધાર, દામનગર અને ઢસાની અલગ અલગ મિલમાં તૈયાર કરવામાં આવે છે. આવા તેલના કારણે જનઆરોગ્ય સાથે ચેડા થઈ રહ્યા હોવા છતાં સંબંધિત વિભાગ ચેકીંગ કરતું નથી.
જાેકે આ તમામ બાબતથી જિલ્લા ફૂડ વિભાગના સત્તાવાળાઓ વાકેફ છે છતાં તપાસ કરતા નથી. શહેરમાં દર મહિને ફૂડ વિભાગનું ચેકીંગ હોય છે પરંતુ કોઈ કાર્યવાહી થતી હોવાનું કયારેય બહાર આવ્યું નથી. તેલનો વેપલો તો બારે મહિના ચાલે છે મોટાભાગની દુકાનમાં આવું તેલ મળે છે છતા પકડાતું નથી.
સ્કીન સ્પેશ્યાલીસ્ટ ડો. તિમિર ભરોળિયાના જણાવ્યા મુજબ આવા અખાદ્ય તેલના સેવનથી ખંજવાળ, લાલ ચકામા જેવા રોગનું પ્રમાણ વધ્યું છે. શહેરીજનો તળેલો ખોરાક બંધ કરી અથવા આવા તેલનું સેવન ઓછું કરી નિયંત્રણ લાવી શકે.