ગીરગઢડામાં ૧૧ દિવસનું લોકડાઉન જાહેર કરાયું
![](https://westerntimesnews.in/wp-content/uploads/2021/04/gir-gadhda-scaled.jpg)
દાણાપીઠના વેપારીઓએ ર્નિણય કર્યો કે, ગુરૂવાર બપોરથી ૧૮ તારીખ સુધી દુકાનો સ્વૈચ્છિક લોકડાઉન પાળશે
ગાંધીનગર, કોરોનાને ડામવો હશે તો સેલ્ફ લોકડાઉન જ એકમાત્ર રસ્તો છે તેવુ પારખી ચૂકેલા લોકો હવે આ રસ્તો અપનાવી રહ્યાં છે. ગુજરાતના અનેક તાલુકા અને નાના શહેરો તથા ગામડાઓએ સેલ્ફ લોકડાઉનનો રસ્તો અપનાવ્યો છે. ત્યારે સૌરાષ્ટ્રના અનેક ગામડાઓએ આ પહેલ કરી છે. ગીર સોમનાથના ઉનામાં સ્વૈચ્છિક લોકડાઉન જાહેર કરાયું છે.
કોડીનાર અને તાલાલામાં પણ આજથી લોકડાઉન રહેશે. ગીરગઢડામાં આજે બપોરે ૧ વાગ્યા બાદ ૧૧ દિવસનું લોકડાઉન જાહેર કરાયું છે. તલાલામાં ૫ દિવસનું સંપૂર્ણ લોકડાઉન રહેશે. કોડીનારમાં ૩ દિવસનું સંપૂર્ણ લોકડાઉન રહેશે. રાજકોટ કોરોનાનો કહેર વ્યાપી ગયો છે.
ત્યારે દાણાપીઠના વેપારીઓએ ર્નિણય કર્ય કે, આજે બપોરથી ૧૮ તારીખ સુધી દુકાનો સ્વૈચ્છિક લોકડાઉન પાળશે. ૨૫૦ જેટલી દુકાનો આજે ત્રણ વાગ્યાથી બંધ કરવામાં આવશે. અમરેલીના ધારીનું આંબરડી સફારી પાર્ક આગામી ૩ થી ૪ દિવસ બંધ રહેશે. ગઈ કાલે ટિકીટ બુકીંગ કરતા ક્લાર્કનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો.
જેથી આજે સંપર્કમાં આવેલા તમામ કર્મીઓના આરટીપીસીઆર ટેસ્ટ કરાઈ સેમ્પલ મોકલવામાં આવ્યા છે. જેના રિપોર્ટ આવ્યા બાદ આગળનો ર્નિણય કરાશે, પરંતુ હાલ આંબરડી પાર્ક મુસાફરો માટે બંધ કરાયો છે. ભાવનગર જિલ્લાના પાલિતાણામાં ત્રણ દિવસ સ્વૈચ્છિક લોકડાઉન જાહેર કરાયું છે.
નગરપાલિકા, વેપારી એસોસિએશન, મામલતદાર અને પોલીસની સંયુક્ત બેઠક મળી હતી. આ સંયુક્ત મળેલી બેઠકમાં લોકડાઉનનો ર્નિણય લેવાયો છે. પાલિતાણા શહેરમાં પણ વિકેન્ડ લોકડાઉન જાહેર કરાયું છે. શહેરમાં શુક્ર, શનિ અને રવિવારે સ્વૈચ્છિક લોકડાઉન રહેશે. તો ભાવનગર માર્કેટયાર્ડ ૧૬ એપ્રિલથી બંધ કરાયું છે.
માત્ર લીંબુ અને શાકભાજીની હરાજી ચાલુ રહેશે. કોરોના સંક્રમણ વધતા માર્કેટયાર્ડ દ્વારા આ ર્નિણય કરાયો છે કે, ૧૬ એપ્રિલથી માર્કેટયાર્ડમાં હરાજી બંધ થશે. બીજી સૂચના ના મળે ત્યાં સુધી તમામ હરાજી બંધ રહેશે. અમરેલીના વડિયા ગ્રામ પંચાયતે કોરોનાનું સંક્રમણ વધતા વેપારીઓની મીટિંગ મળી હતી.
મીટિંગમા આગેવાનો દ્વારા આ ર્નિણય લેવાયો છે કે, ગુરુ, શુક્ર અને શનિવાર સુધી વેપાર ધંધા શરૂ રહેશે. આ ત્રણ દિવસમાં લોકોએ પોતાની જીવન જરૂરી ચીજવસ્તુઓની ખરીદી કરી લેવીની સૂચના અપાઈ છે. શનિવાર બાદ આઠ દિવસ સુધી સદંતર લોકડાઉન પાળવાનું નક્કી કરાયું છે. લોકડાઉનની અમલવારી ન કરનાર પાસેથી ગ્રામપંચાયત ૧૦૦૦ રૂપિયાનો દંડ વસૂલશે અને કાયદેસરની કાર્યવાહી હાથ ધરાશે. ૮ દિવસ બાદ પરિસ્થિતિને આધીન ફરી આગેવાનો દ્વારા વેપારીઓની મીટિંગ યોજાશે.