ગુજરાતના આ તાલુકામાં છ કલાક પણ ખેડૂતોને વિજપૂરવઠો મળતો નથી
ઘોઘંબાના અંતરિયાળ વિસ્તારમાં વીજ પુરવઠા મુદ્દે આવેદનપત્ર
(તસ્વીરઃ મનોજ મારવાડી, ગોધરા) પંચમહાલ જિલ્લાના અંતરિયાળ વિસ્તારમાં આવેલા ઘોઘંબા તાલુકામાં પણ ખેડૂતો દિવસે ખેતી વિષયક વીજ પુરવઠો આપવા માંગ કરી રહ્યા છે.
હાલ છ કલાક વીજ પુરવઠો આપવામાં આવે છે જે પણ ડચકા ખાઈ મળી રહ્યો છે જેના કારણે પાકને નુકશાન થઈ રહ્યું છે. ઘોઘંબા પંથકની ભૌગોલિક સ્થિતિ કઈક અલગ જ છે.
અહીં જંગલ અને જમીન અડી અડી આવેલા છે જેથી રાત્રે ખેડૂતોને જંગલી પ્રાણીઓના હુમલાનો ખૂબ જ ડર રહે છે.વળી આ વિસ્તારમાં એક સપ્તાહ રાત્રે વીજ પુરવઠો આપવામાં આવે છે દરમિયાન ખેડૂતોની હાલત કફોડી બને છે.
ઘોઘંબા ખાતે ખેડૂત આગેવાનોએ એકત્રિત થઈ મામલતદાર કચેરી ખાતે પ્લે કાર્ડ સાથે સૂત્રોચ્ચાર કરી આઠ કલાક પૂરતો વીજ પુરવઠો દિવસે આપવામાં આવે એવી માંગણી કરતું આવેદનપત્ર નાયબ મામલતદારને આપી રજુઆત કરી છે.આગામી દિવસોમાં પોતાની માંગણી નહીં સંતોષવામાં આવે તો ગાંધી ચીંધ્યા માર્ગે આંદોલન કરવાની પણ અહીંના ખેડૂતો ચીમકી ઉચ્ચારી રહ્યા છે.