ગુજરાતના છ પોલીસને શ્રેષ્ઠ કાર્ય બદલ મેડલથી નવાજાશે
ગુજસીટોકના આરોપીઓ સામે શ્રેષ્ઠ તપાસ બદલ સન્માન-દેશના ૧૫૨ પોલીસ કર્મચારીઓને મેડલ ફોર એક્સિલન્સ ઈન ઈન્વેસ્ટીગેશન મેડલથી નવાજાશે
ગાંધીનગર, ગુજરાતના ૬ પોલીસ કર્મચારીને ગૃહ મંત્રાલય દ્વારા તપાસની શ્રેષ્ઠ કામગીરી માટે પુરસ્કાર અપાશે. શ્રેષ્ઠ કામગીરી માટે કેન્દ્રીય ગૃહમંત્રાલય દ્વારા ૧૫ ઓગસ્ટનો રોજ આ પુરસ્કાર આપવામાં આવશે. ગુજસીટોકના ઓરાપીઓ સામે તપાસની શ્રેષ્ઠ કાર્યવાહી કરવા બદલ આ તમામ પોલીસ કર્મચારીઓની પુરસ્કાર માટે પસંદગી કરવામાં આવી છે.
જેમાં સુરતના ત્રણ પોલીસ કર્મચારીઓને એવોર્ડ માટે પસંદ કરાયા છે. જે સુરત પોલીસ માટે ગૌરવની વાત છે. તો અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચના પીઆઈ દર્શનસિંહ બારડ અને એ. વાય. બલોચની પણ પુરસ્કાર માટે પસંદગી કરાઈ છે. દેશના ૧૫૨ પોલીસ કર્મચારીઓને આ વર્ષે યુનિયન હોમ મિનિસ્ટર મેડલ ફોર એક્સિલન્સ ઈન ઈન્વેસ્ટીગેશન મેડલથી નવાજવામાં આવનાર છે.
ઉત્કૃષ્ઠ તપાસ કામગીરી માટે આ તમામ પોલીસ કર્મચારીઓને સન્માનિત કરવામાં આવનાર છે. આ વર્ષ ૨૦૨૧ ના એવોર્ડમાં સૌથી વધુ સીબીઆઈના ૧૫ પોલીસ કર્મચારીઓ સામેલ છે. તો ૧૫૨ માંથી ૨૮ મહિલા પોલીસ કર્મચારી છે. કેન્દ્રીય ગૃહ મંત્રાલયે આજે આ માહિતી આપી છે.
એવોર્ડ મેળવનારા પોલીસ કર્મચારીઓમાં એએસપી નિતેશ પાંડેય – જામનગર, ડીસીપી વિધી ચૌધરી – સુરત, પીઆઈ મહેન્દ્ર સાલુંકે, પીઆઈ મંગુભાઈ તડવી, પીઆઈ દર્શનસિંહ બારડ – અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચ, પીઆઈ એ.વાય બલોચ – અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચનો સમાવેશ થયા છે.
સીબીઆઈના ૧૫ કર્મીઓ ઉપરાંત મધ્ય પ્રદેશ અને મહારાષ્ટ્ર પોલીસના ૧૧-૧૧, ઉત્તર પ્રદેશ પોલીસના ૧૦, કેરળ અને રાજસ્થાન પોલીસના ૯-૯, તમિલનાડુ પોલીસના ૮, બિહારના ૭ તેમજ ગુજરાત, કર્ણાટક અને દિલ્હી પોલીસના ૬-૬ કર્મચારીઓને એવોર્ડ આપવામાં આવશે. ગત વર્ષે ૨૦૨૦ માં કુલ ૧૨૧ પોલીસ કર્મચારીઓની સન્માનિત કરાયા હતા. આ મેડલ આપવાની શરૂઆત ૨૦૧૮ માં કરવામાં આવી હતી. આ પુરસ્કાર આપવા પાછળનો હેતુ તપાસ કરનાર ઉત્કૃષ્ઠ અધિકારીઓના ઓળખ કરવાનો છે.