ગુજરાત ગૌણ સેવા મંડળે કારણ જણાવ્યા વગર જ પરીક્ષા રદ કરતા વિદ્યાર્થીઓમાં રોષ
![](https://westerntimesnews.in/wp-content/uploads/2019/10/Ex1.jpg)
૧૦ લાખથી વધુ વિદ્યાર્થીઓનું સ્વપ્ન રોળાયું |
(પ્રતિનિધિ) અમદાવાદ : ગુજરાત ગૌણ સેવા મંડળ દ્વારા બિન સચિવાલય કલાર્ક અને ઓફિસ આસિસ્ટન્ટની તા.ર૦મી ઓકટોબરે યોજાનારી પરીક્ષા અચાનક જ આજે સવારે રદ કરી દેવાની જાહેરાત કરતા રાજયના ૧૦ લાખથી વધુ વિદ્યાર્થીઓમાં રોષ ફેલાયો છે. ચોંકાવનારી બાબત એ છે કે મંડળના સચિવ અસિત વોરાને પણ પરીક્ષા રદ કરવાનું ચોક્કસ કારણ ખબર નહી હોવાથી ચર્ચાનો વિષય બન્યો છે. સરકારના કહેવાથી પરીક્ષા રદ કરવામાં આવી હોવાનું જણાવવામાં આવી રહયું છે.
આ અંગેની વિગત એવી છે કે ગુજરાત ગૌણ સેવા મંડળ દ્વારા ર૦મી ઓકટોબરે કારકુન અને ઓફિસ આસિસ્ટન્ટ વર્ગ-૩ ની ભરતી માટે પરીક્ષા યોજવામાં આવી હતી આ જગ્યા માટે રાજયમાંથી કુલ ૧૦.૪પ લાખ વિદ્યાર્થીઓએ ઉમેદવારી નોધાવી હતી અને છેલ્લા બે વર્ષથી આ વિદ્યાર્થીઓ તેની તૈયારી કરી રહયા હતા.
આ દરમિયાનમાં ગઈકાલે અચાનક જ પરીક્ષા રદ કરવાની જાહેરાત કરતા વિદ્યાર્થીઓમાં રોષ ફેલાયો છે. મહત્વપૂર્ણ બાબત એ છે કે પરીક્ષા કયા કારણોસર રદ કરવામાં આવી તે જણાવવામાં આવતું નથી. આ અંગે મંડળના ચેરમેન અસિત વોરા પણ ચોકકસ કારણ જણાવી શકયા નથી.
શિક્ષણ શાસ્ત્રીઓ પણ આ નિર્ણય અંગે દુવિધામાં છે. સાંજ સુધીમાં સરકાર દ્વારા ચોકકસ કારણ જાહેર કરવામાં આવશે તેવું મનાઈ રહયું છે. પરીક્ષા આપનાર તમામ વિદ્યાર્થીઓને સેન્ટ્રલની ફાળવણી પણ કરી દેવામાં આવી હતી અને છેલ્લી ઘડીએ આ પરીક્ષા રદ કરાઈ છે જે સવારથી જ રાજયભરમાં ચર્ચાનો વિષય બન્યો છે.