Western Times News

Gujarati News

ગુજરાત હાઇકોર્ટના પ્રાંગણમાં નવનિર્મિત ‘કાયદા ભવન’ ખુલ્લું મુકાયું

‘કાયદાભવન’ – સરકારી વકીલોની કાર્યક્ષમતાને નવો ઓપ આપશે-કેસોની પેન્ડેન્સી ઘટે તે માટે રાજ્ય સરકાર કટિબધ્ધ છે
રાજ્યમાં જિલ્લા ન્યાયાલયો પણ સુવિધાપુર્ણ બનાવ્યા છે

‘કાયદા ભવન’નું નિર્માણ કરીને ગુજરાતે આગવી પહેલ કરી છે  – સુપ્રિમ કોર્ટના જસ્ટીસ શ્રી એમ.આર.શાહ
મુખ્યમંત્રીશ્રી વિજયભાઇ રૂપાણીએ જણાવ્યું છે કે, રાજ્યના નાગરિકોને-છેવાડાના માનવીને ઝડપી ન્યાય મળે તે માટે રાજ્ય સરકાર પ્રયત્નશીલ છે. ગુજરાત દરેક ક્ષેત્રે અગ્રેસર રહ્યું છે ત્યારે કાયદાક્ષેત્રે પણ જરૂરી સુવિધાઓ ઉભી કરી પેન્ડેન્સી ઘટાડવા રાજ્ય સરકાર કટિબધ્ધ છે એમ તેમણે ઉમેર્યું હતું.

આજે અમદાવાદ ખાતે ગુજરાત હાઇકોર્ટના પ્રાંગણમાં અંદાજે રૂા. ૩૯ કરોડના ખર્ચે નવનિર્મિત ‘કાયદા ભવન’ને મુખ્યમંત્રીશ્રી તથા સુપ્રિમ કોર્ટના ન્યાયમૂર્તિશ્રી આર. સુભાષ રેડ્ડી, ન્યાયમૂર્તિશ્રી એમ.આર.શાહ, ગુજરાત હાઇકોર્ટના કાર્યકારી મુખ્ય ન્યાયમૂર્તિશ્રી અનંતભાઇ એસ. દવેએ ખુલ્લુ મુક્યું હતું.

મુખ્યમંત્રીશ્રીએ વધુમાં જણાવ્યું હતું કે, રાજ્યના સર્વાંગી વિકાસ માટે રાજ્ય સરકારે માળખાગત સુવિધાઓનું સગ્રથિત માળખું ઉભુ કર્યું છે ત્યારે હાઇકોર્ટના પ્રાંગણમાં બનેલું આ ‘કાયદા ભવન’ પણ અદ્યતન સુવિધાઓ સાથે સેવારત થયું છે. આ ભવન સરકાર તરફી કેસ લડનારા સરકારી વકીલોની કાર્યક્ષમતાને નવો ઓપ આપશે.

મુખ્યમંત્રીશ્રીએ જણાવ્યું હતું કે, ‘રુલ ઓફ લો’ ના સૂત્રને વરેલી ગુજરાતે સરકારે રાજ્યના નાગરિકોને ઝડપી ન્યાય મળે તે પરિણામલક્ષી કામગીરી કરી છે. રાજ્યમાં જિલ્લા ન્યાયલય ભવનો પણ અદ્યતન અને સુવિધાપૂર્ણ બનાવાયા છે. જો કે આ તમામ સુવિધાઓ અંતે તો પ્રજા-કલ્યાણ માટે જ છે. રાજ્ય સરકારે મામલતદાર કચેરીઓ, તાલુકા સેવાસદનો પણ અદ્યતન બનાવ્યા છે તેમ તેમણે ઉમેર્યું હતું.

મુખ્યમંત્રીશ્રીએ ‘કાયદા ભવન’ના નવનિર્મિત મકાનને બિરદાવતા જણાવ્યું હતું કે, દિન-પ્રતિદિન વધની કામગીરીના પગલે તાલુકા-જિલ્લા કોર્ટની સાથે હાઇકોર્ટમાં પણ કામગીરીનું ભારણ વધ્યું છે ત્યારે આ ભવન નિર્માણ અત્યંત જરૂરી હતું. આ ભવન સાચા અર્થમાં લોક કલ્યાણ ની પ્રભાવનાને મજબૂત બનાવશે એમ તેમણે ઉમેર્યું હતું.

સુપ્રિમ કોર્ટના જસ્ટીસ શ્રી આર.સુભાષ રેડ્ડીએ જણાવ્યું હતું કે, ગુજરાત તેની ગુણવત્તા માટે જાણીતું છે. આ ‘કાયદા ભવન’ વૈશ્વિક કક્ષાનું બન્યું છે. તેમાં કાર્યરત લો ઓફીસર્સ અને અન્ય કર્મીઓની કાર્યક્ષમતાને નવો ઓપ આપશે. અહીં ઉપલબ્ધ ક રા યેલી માળખાગત સુવિધાઓ કેસોના નિકાલને વધુ ઝડપી અને પરિણામલક્ષી બનાવાશે. આ ભવન દેશના આખા માટે ‘મોડલ ભવન’ બનશે તેઓ વિશ્વાસ તેમણે વ્યક્ત કર્યો હતો.

સુપ્રિમ કોર્ટના જસ્ટીસ શ્રી એમ.આર.શાહે જણાવ્યું હતું કે, ‘કાયદા ભવન’ નિર્માણ કરીને ગુજરાતે આગવી પહેલ કરી છે. આ ભવનમાં અદ્યતન અને ટેકનોલોજી અપગ્રેડેશન સાથેની સુવિધાઓ ઉપલબ્ધ કરાઇ છે. અગાઉના સમયમાં પડતી અગવડતાઓ દૂર થઇ છે. નવા ‘કાયદા ભવન’માં બેસીને કામ કરતા લોકો વધુ પ્રતિબધ્ધતા-કાર્યક્ષમતાથી કામ કરી શકશે તેવો વિશ્વાસ વ્યક્ત કર્યો હતો. ગુજરાત સરકારે હરહંમેશ ‘લોક અદાલત’ને સુ્દ્દઢ બનાવવા હકારાત્મક પ્રયાસો કર્યા છે એમ તેમણે ઉમેર્યું હતું.

ગુજરાત હાઇકોર્ટના કાર્યકારી મુખ્ય ન્યાયમૂર્તિશ્રી અનંત દવેએ સામાન્ય માણસને ઝડપી ન્યાય મળે તે માટે ગુજરાત સરકારના પ્રયાસોને બિરદાવ્યા હતા.  રાજ્યના કાયદા મંત્રીશ્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમાએ જણાવ્યું હતું કે, રાજ્યમાં ઝડપી ન્યાય માટે શ્રેષ્ઠ પરિસર છે. વર્ષ ૨૦૦૪માં આ ક્ષેત્રે માત્ર રૂા.૧૪૦ કરોડની જોગવાઇ હતી જ્યારે આજે રૂા.૧૬૩૫ કરોડની જોગવાઇ અમારી સરકારે કરી છે. આજે બદલાતા સમયમાં સુવિધાઓની માંગ વધી છે. આજે દરેક ક્ષેત્રે વૈશ્વિક બદલાવ આવ્યો છે ત્યારે આજે નિર્માણ પામેલું કાયદા ભવન આ બદલાવને આત્મસાત કરી ‘મોડેલ સ્ટેટ’ને છાજે તેવું બન્યું છે.

અમારી સરકારે તમામ ક્ષેત્રોમાં આગામી ૫૦ વર્ષને ધ્યાનમાં રાખીને માળખાગત સુવિધાઓ ઉપલબ્ધ કરી છે. મુખ્યમંત્રીશ્રી વિજયભાઇ રૂપાણીના નેતૃત્વમાં સરકારે સામાન્ય માણસને ઝડપી ન્યાય મળે તે દિશામાં કામગીરી કરી છે એમ તેમણે ઉમેર્યું હતું.

ભારત સરકારના સોલીસીટર જનરલ શ્રી તુષાર મહેતાએ જણાવ્યું હતું કે, ગુજરાત તમામ ક્ષેત્રોમાં અગ્રેસર રહ્યું છે ત્યારે ‘કાયદા ભવન’ પણ દેશના શ્રેષ્ઠ ઘવનો પૈકીનું એક બન્યું છે. મુખ્યમંત્રીશ્રી વિજયભાઇ રૂપાણી, મંત્રી સર્વ શ્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમા, પ્રદિપસિંહ જાડેજા તેના સાચા યશભાગી છે. દેશમાં કાયદાક્ષેત્રે અનેક ગુજરાતીઓએ શ્રેષ્ઠ યોગદાન આપ્યું છે. લો ઓફીસર્સે ‘રૂલ ઓફ લો’ના પરિણાામલક્ષી નિયમન માટે સક્રિય કામગીરી બજાવવી પડશે.

એડવોકેટ જનરલશ્રી કમલ ત્રિવેદીએ જણાવ્યું હતું કે, લો-ઓફીસર્સ માટે બનાવાયેલું આ ભવન શ્રેષ્ઠ-અદ્યતન સુવિધાઓ ધરાવે છે. રાજ્ય સરકારે આ ભવનના નિર્માણ માટે હકારાત્મક અભિગમ ધરાવીને અને કોર્પોરેટ ઓફીસનો લુક ધરાવતું આ ભવન નિર્માણ થયું છે.

પબ્લીક પ્રોસીક્યુટરશ્રી મિતેષ અમીને જણાવ્યું હતું કે, આજે ખુલ્લું મુકાયેલું ‘કાયદા ભવન’ દેશનું શ્રેષ્ઠ ભવન છે. ‘કાયદા ભવન’માં અન્ય સુવિધા સાથે ‘કીડ્સ સેન્ટર’, વિકલાંગો માટે અલાયદી સુવિધા, સેમિનાર હોલની સુવિધા છે. સોલાર પેનલ સાથે પર્યવારણને ધ્યાનમાં રાખીને આ ભવન બનાવાયું છે.

સરકારી વકીલ શ્રીમતી મનીષા લવકુમાર શાહે સ્વાગત-પ્રવચનમાં જણાવ્યું હતું કે, રાજ્યમાં મુખ્યમંત્રી શ્રી વિજયભાઇ રૂપાણીના નેતૃત્વમાં ગુજરાતમાં હેપીનેસ ઇન્ડેક્સમાં શ્રેષ્ઠ ઉંચાાઇ પ્રસ્થાપિત કર્યો છે.

રાજ્યના કાયદા વિભાગ દ્વારા અંદાજે રૂ. ૩૯ કરોડના ખર્ચે બનાવાયેલ આ ભવન અત્યંત ઉપયોગી પુરવાર થશે
અત્રે ઉલ્લેખનીય છે કે, હાલ જુનું કાયદા ભવન કાર્યરત છે પરંતુ ઘણા સમય પહેલા બનેલું હોવાના પગલે સુવિધાઓમાં ઘટ પડતી હતી. સાથે સાથે બદલાતા સમયના પગલે તેમાં માળખાકીય સુવિધાઓમાં બદલાવની આવશ્યકતા હતી, ત્યારે નવું “કાયદા ભવન” વિશાળ બેઠક વ્યવસ્થા, અધ્યતન સુવિધાઓ અને ટેકનોલોજીના ઉપયોગથી સભર બનાવાયું છે.

તેમાં કોન્ફ્રરન્સ રૂમ, રેકર્ડ રૂમ, એડવોકેટ જનરલ ચેમ્બર, એડીશનલ-ગવર્નમેન્ટ પ્લીડર ચેમ્બર સહિત અન્ય સુવિધાઓના પગલે પક્ષકારો અને કાયદા વિભાગ સાથે સંકળાયેલા કર્મચારીઓ-અધિકારિઓને પોતાના કેસોનું બ્રિફીંગ કરવામાં સુલભતા વધશે.  આ પ્રસંગે રાજ્યના ગૃહ અને કાયદા રાજ્ય મંત્રી શ્રી. પ્રદિપસિંહ જાડેજા, પૂર્વ મુખ્ય ન્યાયમૂર્તિ શ્રી આર.સી.લાહોટી, મુખ્ય સચિવ શ્રી ડૉ. જે.એન.સિંઘ તથા એડીશનલ એડવોકેટ જનરલ શ્રી પ્રકાશ કે જાની, ગવર્મેન્ટ પ્લીડર શ્રીમતી મનીષાબેન લવકુમાર, રાજ્યના કાયદા વિભાગના ઇન્ચાર્જ સચિવ શ્રી મિલન દવે, એડવોકેટશ્રીઓ વગેરે પણ ઉપસ્થિ રહ્યા હતા.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.