ગૃહ રાજ્ય મંત્રીએ યાત્રાધામ અંબાજી ખાતે માતાજીના દર્શન કર્યા

પાલનપુર, શક્તિ, ભકિત અને આસ્થાના ત્રિવેણી સંગમ સમાન વિશ્વ પ્રસિદ્ધ યાત્રાધામ અંબાજી ખાતે ગૃહ રાજ્ય મંત્રી હર્ષભાઇ સંઘવીએ માતાજીના ભક્તિભાવપૂર્વક દર્શન અને પૂજા અર્ચના કરી હતી. ગૃહ રાજ્ય મંત્રીનું શ્રી આરાસુરી અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટના ચેરમેન કમ બનાસકાંઠા કલેક્ટર આનંદ પટેલે માતાજીનો ખેસ પહેરાવી સ્વાગત કર્યું હતુ. અંબાજી મંદિરના પુજારી દ્વારા માતાજીની ચુંદડી ઓઢાડીને તેમનું બહુમાન કરાયું હતુ.
યાત્રાધામ અંબાજીની મુલાકાત દરમિયાન મંત્રીએ સ્ટોન આર્ટીઝન પાર્ક, ગબ્બર ખાતે આવેલ ૫૧ શક્તિપીઠ પરિક્રમા કરીને તેલીયા નદીનું નિરીક્ષણ કર્યું હતુ. ત્યારબાદ માંગલ્યવન અને પ્રસિદ્ધ કુંભારીયાના જૈન દેરાસરની મુલાકાત લીધી હતી.
મંત્રીની મુલાકાત પ્રસંગે આરાસુરી અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટના ચેરમેન કમ કલેક્ટર આનંદ પટેલ, પોલીસ અધિક્ષક અક્ષયરાજ મકવાણા, અંબાજી મંદિરના વહીવટદાર આર.કે.પટેલ સહિત વન વિભાગના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.