ગેંગરેપ પીડિતાની ધરપકડ પર દેશના ૩૭૬ વકીલોએ પટના હાઈકોર્ટને પત્ર લખ્યો
પટણા, બિહારના અરરિયામાં એક એવો મામલો સામે આવ્યો છે જેમાં કથિત રીતે કહેવામાં આવી રહ્યું છે કે કોર્ટના અનાદરના આરોપમાં દુષ્કર્મ પીડિતા અને તેના બે સહયોગીઓની જેલ મોકલી દેવામાં આવ્યા છે. હવે આ મામલામાં દેશભરના જાણીતા વકીલોએ વિરોધ વ્યક્ત કરતાં પટણા હાઈકોર્ટે મામલામાં દખલ કરવાની માંગ કરી છે. હાઈકોર્ટના ચીફ જસ્ટિસ તથા અન્ય ન્યાયાધિશોને સંબોધિત કરીને લખવામાં આવેલા પત્રમાં ૩૭૬ વકીલોના હસ્તાક્ષર છે. તેમાં આરોપ લગાવવામાં આવ્યો છે કે ૨૨ વર્ષની પીડિતા અને તેની બે સહયોગી સામાજિક કાર્યકર્તાઓની ૧૦ જુલાઈએ આઈપીસીની કલમ ૧૬૪ હેઠળ જ્યૂડિશિયલ મેજિસ્ટ્રેટની સમક્ષ નિવેદન નોંધાવતી વખતે જ્યૂડિશિયલ કસ્ટડીમાં લઈને સમસ્તીપુર જિલ્લાની દલસિંહરાય જેલ મોકલી દીધી હતી.
આરોપ લગાવવામાં આવી રહ્યો છે કે બિહારના અરરિયા જિલ્લાની એક કોર્ટ સમક્ષ પીડિતા પોતાની બે સહયોગીઓ સાથે નિવેદન નોંધાવી રહી હતી. કોર્ટના અનાદરના આરોપમાં તેમને કસ્ટડીમાં લઈ લેવામાં આવ્યા હતા. આ પત્ર પર પૂર્વ સોલિસિટર જનરલ ઈન્દિરા જયસિંહ, સુપ્રીમ કોર્ટના સીનિયર વકીલ પ્રશાંત ભૂષણ, વૃંદા ગ્રોવર, રેબેકા જોન સહિત ૩૭૬ વકીલોએ હસ્તાક્ષર કર્યા છે.
આ પત્રમાં કહેવામાં આવ્યું છે કે આ ઘટનાને ખૂબ જ સંવેદનશીલ થઈને જોવી જોઈએ. પીડિતા પોતાની સાથે ઘટિત ઘટનાને વારંવાર પોલીસ અને અન્ય લોકોને જણાવવાને કારણે માનસિક તણાવમાં હતી. તેના દ્વારા દુર્વ્યવહારને સંવેદનાની સાથે જોવાની જરૂર છે. પીડીતાની નાજુક સ્થિતિને સમજવાને બદલે તેને જેલ મોકલી દેવામાં આવી.
મહિલા પોલીસ સ્ટેશનમાં નોંધાયેલી એફઆઈઆરમાં કહેવામાં આવ્યું છે કે ૬ જુલાઈએ પીડિતા યુવતી એક પરિચિત યુવકની સાથે મોટરસાઇકલ ચલાવવાનું શીખી રહી હતી. ઘરે પરત ફરતી વખતે ચાર અજાણ્યા લોકોએ તેની સાથે કથિત રીત સામૂહિક દુષ્કર્મ કર્યું હતું. પીડિતાએ ભયના કારણે જન જાગરણ શક્તિ સંસ્થાનની પોતાની એક પરિચિતને ફોન કર્યો. બાદમાં ૧૦ જુલાઈએ નિવેદન નોંધાવવા માટે તેને જ્યૂડિશિયલ મેજિસ્ટ્રેટનો કોર્ટમાં લાવવામાં આવી.
આરોપ લગાવવામાં આવી રહ્યો છે કે કોર્ટમાં પહેલા ચાર કલાક સુધી રાહ જોયા બાદ તેનું નિવેદન નોંધવામાં આવ્યું. આ દરમિયાન કલ્યાણી અને તન્મય નિવેદિતા જ્યારે કોર્ટ પહોંચ્યા તો પીડિતા તેમને સમયસર ન આવવાને લઈ ઊંચા અવાજે વાત કરવા લાગી. મળતી માહિતી મુજબ, કલ્યાણીએ કોર્ટમાં દુષ્કર્મ પીડિતાનું નિવેદેન વાંચીને સંભળાવવાની માંગ કરી, જેની પ ઘણી ગરમા-ગરમી થવા લાગી. કોર્ટના પેશકાર રાજીવ રંજન સિન્હાએ દુષ્કર્મ પીડિતા સહિત બે અન્ય મહિલાઓની વિરુદ્ધ મહિલા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. તેમાં કહેવામાં આવ્યું છે કે પીડિતાએ નિવેદન આપીને બાદમાં તેની સામે આપત્તિ વ્યક્ત કરી.