ગોતાની નિકિતાએ જેલમાં બાળકને જન્મ આપવો પડશે
![](https://westerntimesnews.in/wp-content/uploads/2021/02/advt-western-2021-scaled.jpg)
અમદાવાદ: અમદાવાદના ગોતા વિસ્તારમાં ગયા વર્ષે પોતાની સાસુની કથિત હત્યા કરનારી નિકિતા ઉર્ફે નાયરા અગ્રવાલને જામીન પર મુક્ત કરવાનો કોર્ટે ઈનકાર કરી દીધો છે. નિકિતાને હાલ સાત મહિનાનો ગર્ભ છે. તે સાબરમતી જેલમાં બંધ છે, અને તેણે અમદાવાદ ગ્રામ્ય કોર્ટમાં ૩૦ દિવસના જામીન માટે અરજી કરી હતી. ઓક્ટોબર ૨૦૨૦માં સાસુની કથિત હત્યા કરનારી નિકિતાએ જામીન અરજીમાં જણાવ્યું હતું કે તેને ગર્ભાવસ્થાના છેલ્લા મહિના જતાં હોવાથી આરામની તેમજ સારી સારસંભાળની જરુર છે. વળી, પ્રાઈવેટ હોસ્પિટલમાં નિયમિત ચેક-અપ કરાવવું પણ જરુરી હોવાથી તેને જામીન આપવામાં આવે. તેણે કોર્ટમાં એવું પણ કહ્યું હતું કે તેની ધરપકડ થઈ ત્યારથી અત્યારસુધી તેને હંગામી જામીન નથી મળ્યા.
જાેકે, કોર્ટે નિકિતાની જામીન અરજી ફગાવી દેતા જણાવ્યું હતું કે, બે મહિના પહેલા તેની નિયમિત જામીન અરજી ફગાવાઈ ત્યારે જ કોર્ટે જેલતંત્રને આરોપીને જરુરી હોય તેવી તમામ મેડિકલ સુવિધા જેલના નિયમો અનુસાર પૂરી પાડવાનું સુનિશ્ચિત કરવા જણાવ્યું હતું. કોર્ટે એમ પણ કહ્યું હતું કે પ્રેગનેન્સીના ગ્રાઉન્ડ પર જામીન આપી શકાય નહીં. વળી, આરોપીને કોઈ બીજી મેડિકલ સમસ્યા પણ નથી, અને તેને લગતા કોઈ મેડિકલ પેપર્સ પણ જામીન અરજી સાથે રજૂ નથી કરાયા.
બે મહિના પહેલા કોર્ટે નિકિતાની કાયમી જામીન અરજી ફગાવી ત્યારે એવી ટિપ્પણી કરી હતી કે દરેક મહિલા સાસરિયા સાથે સારા સંબંધ ઈચ્છે છે. કોઈપણ સંબંધમાં માન-સમ્માન પાયાની વસ્તુ છે. કોર્ટે એમ પણ કહ્યું હતું કે આરોપી ઉચ્ચ શિક્ષણ પ્રાપ્ત કરેલી છે અને એમબીએની ડિગ્રી ધરાવે છે. જાેકે, એવું લાગે છે કે તે પોતાની સાસુ સાથેના સંબંધો નિભાવવામાં સંપૂર્ણપણે નિષ્ફળ ગઈ છે, અને તેના પર સાસુની ઘાતકી હત્યા કરવાનો આરોપ છે.