ગોરખપુરમાં યોગીની સામે ચંદ્રશેખર આઝાદ ચૂંટણી લડશે

લખનૌ, ઉત્તરપ્રદેશમાં વિધાનસભા ચૂંટણી પહેલા રાજકારણ ગરમાયું છે. ભીમ આર્મી ચીફ ચંદ્રશેખર આઝાદે ચૂંટણી લડવાની જાહેરાત કરી દીધી છે. તેઓ ગોરખપુર સદરથી ચૂંટણી લડશે. યોગી આદિત્યનાથે પણ અહીંયાથી જ ચૂંટણી લડવાની જાહેરાત કરી છે. આ સ્થિતિમાં ચંદ્રશેખર અને યોગી વચ્ચે આવનાર ચૂંટણીમાં રસપ્રદ સ્પર્ધા જાેવા મળશે.
ગોરખપુર સદરથી વર્ષ ૨૦૧૭માં ભાજપના રાધા મોહનદાસ અગ્રવાલે ૬૦ હજાર મતના અંતરથી જીત મેળવી હતી. આ સીટ ૧૯૮૯થી ભાજપ પાસે છે. આ અગાઉ ચંદ્રશેખર સપા સાથે ગઠબંધન કરવા ગયા હતા પરંતુ બાદમાં તેઓ સમાજવાદી પાર્ટી સાથે ગઠબંધનથી પાછળ હટી ગયા હતા.
ચંદ્રશેખર આઝાદે કહ્યું હતુ કે, અખિલેશ યાદવને દલિતના મતોની જરૂરત નથી, એટલા માટે સપા અને આઝાદ સમાજ પાર્ટીનું ગઠબંધન નહીં થાય. તેમણે આગળ કહ્યું હતું કે, અમે પોતાના દમ પર ચૂંટણી લડીશું અને જેમના માટે અમે રસ્તાઓ પર આંદોલન કર્યું છે, લાઠીઓ ખાધી છે, જેલમાં ગયા છે, એ જનતાને અપીલ કરીશું કે નવા લોકોને તક આપો.HS