ચારધામ યાત્રા પર કોરોનાનું સંકટ: શ્રદ્ધાળુઓ નિયત સંખ્યામાં જ દર્શન માટે જઈ શકશે
નવી દિલ્હી, ચારધામ યાત્રા મંગળવારથી શરૂ થઈ રહી છે. અક્ષય તૃતીયા એટલે કે 3 મેના દિવસે ગંગોત્રી-યમુનોત્રી, 6 મેના રોજ કેદારનાથ અને 8 મેના રોજ બદ્રીનાથ ધામનાં દ્વાર ખૂલશે. આ વખતે 60 લાખથી વધુ મુસાફરો આવવાની શક્યતા છે.
અત્યારસુધીમાં 2 લાખ 50 હજાર 213 મુસાફર રજિસ્ટ્રેશન કરાવી ચૂક્યા છે. સૌથી વધુ એક લાખથી વધુ મુસાફરોએ બાબા કેદારનાથનાં દર્શન માટે રજિસ્ટ્રેશન કરાવ્યું છે.
કોરોનાના વધી રહેલા કેસને પગલે સરકારે દર્શન માટે કરવા થઈ રહેલા ભક્તોની સંખ્યા મર્યાદિત કરી દીધી છે. સરકારી નિર્દેશ મુજબ, બદ્રીનાથમાં પ્રત્યેક દિવસે 15000, કેદારનાથ ધામમાં 12,000, ગંગોત્રીમાં 7000, જ્યારે યમુનોત્રીમાં પ્રત્યેક દિવસે માત્ર 4000 શ્રદ્ધાળુ જ જઈ શકશે. આ વ્યવસ્થા આગામી 45 દિવસ સુધી લાગુ રહેશે.
યાત્રાની તમામ માહિતી તમારા સુધી પહોંચાડવા માટે ભાસ્કરની ટીમ અહીં છે. પ્રથમ સ્ટોરીમાં અમે આ યાત્રા સાથે સંકાયેલી સંપૂર્ણ બેઝિક વિગતો તમને આપી રહ્યા છે. આગળની સ્ટોરીમાં તમને અમે આખું ચારધામ ફેરવીશું.
ચારધામ યાત્રા શરૂ કરતાં પહેલાં તમારે registrationandtouristcare.uk.gov.in પર રજિસ્ટ્રેશન કરાવવું જરૂરી છે. જો તમે ઓનલાઈન રજિસ્ટ્રેશન કરી શકતા નથી તો ઉત્તરાખંડ સરકાર તરફથી હરિદ્વાર, દેહરાદૂન, ચમોલી, રુદ્રપ્રયાગ અને ઉત્તરકાશી જિલ્લાઓમાં 24 સેન્ટર બનાવવામાં આવ્યાં છે, જ્યાં તમે યાત્રા શરૂ કરતાં પહેલાં રજિસ્ટ્રેશન કરાવી શકો છો.
ઓફલાઈન રજિસ્ટ્રેશન કરનારને હાઈટેક હેન્ડ બેન્ડ આપવામાં આવશે, જેથી ઈમર્જન્સીની સ્થિતિમાં યાત્રીઓને ટ્રેક કરી શકાય. રજિસ્ટ્રેશન પછી તમારા મોબાઈલ નંબર પર એક QR કોડ મળશે.
જો તમે પોતાની ગાડીથી ચારધામ યાત્રા પર જવા માગો છો તો તમારે એની ફિટનેસ ચેક કરાવવી પડશે. આ કામ હરિદ્વારના આરટીઓ અને ઋષિકેશની આરટીઓ ઓફિસમાં કરાવી શકાય છે.
ચારેય ધામ સમુદ્ર તળથી ઘણી ઊંચાઈ પર આવેલાં છે. અહીં તાપમાન 10થી 15 ડીગ્રીની વચ્ચે રહે છે. આ કારણે હેલ્થનું ધ્યાન જરૂર રાખો, ચેકઅપ કરાવીને જ નીકળો. ઊંચાઈ પર ચઢાણ કરવાનું હોવાથી શ્વાસની તકલીફ ધરાવતા લોકોએ પોતાની સાથે ઓક્સિજન સિલિન્ડર પણ રાખવું જોઈએ.
ઠંડીના કારણે ગરમ કપડાંને પોતાની સાથે રાખો. સારા ટ્રેકિંગ કે સ્પોર્ટ્સ શૂઝ લઈ જાઓ. એક લિટર પાણી, રેન કોટ કે છત્રી જરૂર લઈ જાઓ, કારણ કે પહાડી વિસ્તારમાં ક્યારે પણ વરસાદ થઈ શકે છે.