ચૌટાલાને ફરી સજા થતાં ભાજપ-જેપીપીને ફાયદો
ચંડીગઢ, હરિયાણાના ભૂતપૂર્વ મુખ્યમંત્રી ઓમ પ્રકાશ ચૌટાલાને ભ્રષ્ટાચારના કેસમાં કોર્ટે દોષિત ઠેરવતાં ચૌટાલાની હરિયાણાના રાજકારણમાં પાછા ફરવાની આશા પર પાણી ફરી વળ્યું છે.
આ ચુકાદાને ભાજપ-જેપીપી જાેડાણ માટે ફાયદાકારક માનવામાં આવી રહ્યો છે. વિશ્લેષકોના મતે, ચૌટાલાને ફરી જેલભેગા કરીને ભાજપ-જેપીપી માટે રસ્તો સાફ કરી દેવાયો છે કેમ કે હરિયાણામાં કોંગ્રેસ ભાજપને ટક્કર આપી શકે તેવી સ્થિતીમાં નથી. ચૌટાલા જાટ સમાજના મોટા નેતા છે પણ હવે એ જેલભેગા થતાં જાટ સમાજ ભાજપના સાથી દુષ્યંત ચૌટાલા તરફ વળશે તેથી સરવાળે ગઠબંધનને ફાયદો થશે.
ચૌટાલાને સજાની જાહેરાત ૨૬ મેએ કરવામાં આવશે. ચૌટાલા ૧૯૯૩થી ૨૦૦૬ વચ્ચે આવકથી વધુ ૬.૦૯ કરોડની સંપત્તિ ભેગી કરવા માટે દોષિત ઠર્યા છે. ચૌટાલાની ૩.૬૮ કરોડ રૂપિયાની સંપત્તિ ઈડીએ ૨૦૧૯માં જપ્ત કરી હતી.
ચૌટાલા ૨૦૧૩માં જેબીટી ભરતી કૌભાંડમાં પણ દોષિત સાબિત ઠરતાં પ્રીવેન્શન ઓફ કરપ્શન એક્ટ હેઠળ સાત વર્ષ અને ષડયંત્ર માટે દોષિત ઠરતાં ૧૦ વર્ષની સજા ફટકારવામાં આવી હતી. ગયા વર્ષે ૨ જુલાઈમા જ સજા પૂરી કરી બહાર આવ્યા હતા.HS1