છેલ્લાં ૨૪ કલાકમાં કોરોના વાયરસના ૬૨૪૮૦ નવા કેસ
![](https://westerntimesnews.in/wp-content/uploads/2021/06/corona1-7.jpg)
Files Photo
૭૯૮૬૫૬ એક્ટિવ કેસ છે, બીજી તરફ અત્યાર સુધીમાં ૩૮૩૪૯૦ લોકોનાં કોરોના વાયરસના કારણે મોત થયા
નવી દિલ્હી: કોરોના વાયરસના હાહાકારનો સામનો કરી રહેલા ભારતવાસીઓ માટે મોટા રાહતના સમાચાર છે. શુક્રવારે સવારે જાહેર થયેલા આંકડાઓ મુજબ, દેશમાં ૭૩ દિવસ બાદ કોરોના એક્ટિવ કેસની સંખ્યા ૮ લાખથી નીચે નોંધાઈ છે. બીજી રાહતની બાબત એ છે કે રોજેરોજ સંક્રમિત થનારા દર્દીઓની સંખ્યામાં ઘટાડો થઈ રહ્યો છે. આ ઉપરાંત મૃત્યુ પામનારા દર્દીઓની સંખ્યામાં પણ નોંધપાત્ર ઘટાડો નોંધાયો છે.
સંક્રમિત દર્દીઓની સાજા થવાની સંખ્યા વધતા દેશનો કોવિડ રિકવરી રેટ સુધરીને ૯૬ ટકા થયો છે. કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલય દ્વારા શુક્રવાર ૧૮ જૂને જાહેર કરવામાં આવેલા આંકડાઓ મુજબ, છેલ્લા ૨૪ કલાકમાં દેશમાં ૬૨,૪૮૦ નવા પોઝિટિવ કેસો નોંધાયા છે. આ ઉપરાંત કોવિડ-૧૯ના કારણે ૧,૫૮૭ દર્દીઓએ પોતાના જીવ ગુમાવ્યા છે. દેશમાં હવે કુલ સંક્રમિતોની સંખ્યા વધીને ૨,૯૭,૬૨,૭૯૩ થઈ ગઈ છે.
બીજી તરફ, દેશમાં કુલ ૨૬,૮૯,૬૦,૩૯૯ લોકોને કોરોના વેક્સીનના ડોઝ આપવામાં આવ્યા છે. નોંધનીય છે કે, કોવિડ-૧૯ની મહામારી સામે લડીને ૨ કરોડ ૮૫ લાખ ૮૦ હજાર ૬૪૭ લોકો સાજા પણ થઇ ચૂક્યા છે. ૨૪ કલાકમાં ૮૮,૯૭૭ દર્દીઓને ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે. હાલમાં ૭,૯૮,૬૫૬ એક્ટિવ કેસ છે. બીજી તરફ, અત્યાર સુધીમાં કુલ ૩,૮૩,૪૯૦ લોકોનાં કોરોના વાયરસના કારણે મોત થયા છે. વિશેષમાં, ઈન્ડિયન કાઉન્સિલ ઓફ મેડિકલ રિસર્ચએ આજે જાહેર કરેલા આંકડાઓ મુજબ, ૧૭ જૂન, ૨૦૨૧ સુધીમાં ભારતમાં કુલ ૩૮,૭૧,૬૭,૬૯૬ કોરોના સેમ્પલનું ટેસ્ટિંગ કરવામાં આવ્યું છે.
નોંધનીય છે કે ગુરૂવારના ૨૪ કલાકમાં ૧૯,૨૯,૪૭૬ સેમ્પલનું ટેસ્ટિંગ કરવામાં આવ્યું છે. ગુજરાતમાં કોરોના બીજી લહેરની વાત કરીએ તો, નવા કેસોની સંખ્યામાં ઘટાડો આવી રહ્યો છે. રાજ્યમાં છેલ્લા ૨૪ કલાકમાં ૫૦૦થી પણ ઓછા નવા કેસ નોંધાયા છે. કોરોના સંક્રમણના ૨૮૩ કેસ નોંધાયા છે. કોરોના વાયરસના સંક્રમણના કારણે ૬ દર્દીના મૃત્યુ થયા છે. રાજ્યમાં કોરોનાથી કુલ મૃત્યુઆંક ૧૦૦૧૮ પર પહોચ્યો છે. રાજ્યમાં સાજા થતા દર્દીઓની સંખ્યા પણ સતત વધી રહી છે. રાજ્યમાં આજે ૭૭૦ દર્દીઓએ કોરોનાને મ્હાત આપી છે.