જમીન ગુમાવનાર ખેડૂતોના વારસદારોને રોજગારી આપવાની માંગ સાથે કલેકટરને આવેદનપત્ર
ટેક્નિપ એનર્જીસ કંપની વારસદારોને કાયમી નહીં કરતી હોવાનો કરાયેલ આક્ષેપ
(પ્રતિનિધિ) ભરૂચ, વાગરાના સુવા ગામના લેન્ડ લુઝર્સ દ્વારા ભરૂચ જીલ્લા કલેકટરને આવેદનપત્ર પાઠવી જમીન ગુમાવનાર ખેડૂતોના વારસદારને કાયમી નોકરી આપવા અંગેની માંગ કરવામાં આવી છે.
વાગરા તાલુકાના સુવા ગામ લેન્ડ લુઝર્સ એસોસીએશન દ્વારા જીલ્લા કલેકટરને પાઠવવામાં આવેલ આવેદનપત્રમાં જણાવ્યા મુજબ જમીન સપાદન કરતી વખતે જમીન ગુમાવનાર ખેડૂતોના વારસદાર ને નોકરી આપવા અંગે વચન આપવામાં આવ્યું હતું.પરંતું આવા વચન પૂર્ણ કરવામાં આવ્યા નથી.
મોટા ભાગની કંપનીઓ જમીન ગુમાવનાર ખેડૂતોના વારસદારોને નોકરી આપતી નથી. જયારે ટેક્નિપ એનર્જીસ કંપની દ્વારા બે વર્ષ સુધી જમીન ગુમાવનાર ખેડૂતના વારસદારને ટ્રેનિંગ આપવામાં આવી પણ બે વર્ષ પૂર્ણ થઈ ગયા બાદ કુલ ચાર વર્ષ પૂર્ણ થઈ ગયા હોવા છતાં જમીન ગુમાવનાર ખેડૂતોના વારસદારને કાયમી કરતી નથી તે અંગે વિરોધ વ્યક્ત કરી કલેકટરને આવેદનપત્ર પાઠવી આ અંગે યોગ્ય કાર્યવાહી કરવા રજુઆત કરી હતી અને ઉગ્ર આંદોલન કરવાની ચીમકી ઉચ્ચારવામા આવી છે.