જમ્મુ-કાશ્મીરમાં ૨૦૨૦માં ૨૦૩ આતંકી ઠાર મરાયા

પ્રતિકાત્મક
જમ્મુ: જમ્મુ અને કાશ્મીરમાં સુરક્ષા દળો દ્વારા ઠાર મારવામાં આવેલા ૨૦૩ આતંકવાદીઓમાંથી ૧૬૬ સ્થાનિક આતંકવાદી સામેલ હતા. ઓફિશિયલ સૂત્રોએ જણાવ્યું કે કેન્દ્ર શાસિત પ્રદેશમાં આ દરમિયાન ૪૩ નાગરિકોના પણ મોત થયા જ્યારે ૯૨ અન્ય ઘાયલ થયા. તેઓએ જણાવ્યું કે સુરક્ષા દળોએ આ વર્ષે ૪૯ આતંકવાદીઓની ધરપકડ કરી છે,
જ્યારે ૯ આતંકવાદીઓએ આત્મસમર્પણ પણ સુનિશ્ચિત કર્યું. અધિકારીઓએ. જણાવ્યું કે આ સંયુક્ત સુરક્ષા ગ્રિડમાં કામ કરી રહેલી આર્મી, પોલીસ અને કેરિપુબના સમન્વિત પ્રયાસોનું પરિણામ છે. તેઓએ કહ્યું કે જમ્મુ-કાશ્મીરમાં આ વર્ષે ૨૦૩ આતંકવાદીઓ માર્યા ગયા અને તેમાંથી ૧૬૬ સ્થાનિક હતા અને ૩૭ પાકિસ્તાની કે પછી વિદેશી મૂળના હતા.
અધિકારીઓએ કહ્યું કે, ૨૦૨૦માં આતંકવાદ સંબંધી ૯૬ ઘટનાઓ બની. તેઓએ જણાવ્યું કે આ ઘટનાઓમાં ૪૩ નાગરિકોએ પણ જીવ ગુમાઝયો જ્યારે ૯૨ અન્ય ઘાયલ થયા. તેઓએ જણાવ્યું કે હતાહત નાગરિકોની સંખ્યા ૨૦૧૯ની તુલનામાં ઓછી છે. ગયા વર્ષે ૪૭ નાગરિકોનાં મોત થયા હતા અને ૧૮૫ અન્ય ઘાયલ થયા હતા.
સૂત્રોએ જણાવ્યું કે ૨૦૨૦ દરમિયાન ૧૪ આઇઆઇડી જપ્ત કરવામાં આવી જ્યારે ૨૦૧૯માં ૩૬ આઇઆઇડી જપ્ત કરવામાં આવી હતી. જમ્મુ-કાશ્મીરમાં ૨૦૧૯માં સુરક્ષા દળોએ ૧૨૦ સ્થાનિક અને ૩૨ પાકિસ્તાની મૂળના સહિત કુલ ૧૫૨ આતંકવાદીઓને ઢાળી દીધા હતા જ્યારે ૨૦૧૮માં સુરક્ષા દળોના હાથે ૨૧૫ આતંકવાદી ઠાર મરાયા હતા.
રિપોર્ટ મુજબ, ૨૦૧૮માં જમ્મુ-કાશ્મીરમાં ૬૧૪ આતંકી ઘટનાઓમાં કુલ ૨૫૭ આતંકવાદી, ૯૧ સુરક્ષાકર્મી અને ૩૯ નાગરિક માર્યા ગયા હતા. સૂત્રો મુજબ દક્ષિણ કાશ્મીરમાં સૌથી વધુ એન્કાઉન્ટર થયા જ્યાં સૌથી વધુ આતંકવાદી માર્યા ગયા. શોપિયાં, કુલગામ અને પુલવામા જેવા ક્ષેત્રોમાં આતંકી સમૂહો દ્વારા સ્થાનિક યુવકોની ભરતીના કેસ સામે આવ્યા અને અહીં જ સૌથી વધુ એન્કાઉન્ટર પણ થયા.