જાેધપુર-જયપુર હાઇવે પર રોડ અકસ્માતમાં ૬ યુવકોનાં ઘટનાસ્થળે જ મોત નિપજયાં
જાેધપુર: રાજસ્થાનના જાેધપુર-જયપુર હાઇવે પર રવિવારે રાત્રે એક ભયાનક રોડ અકસ્માતમાં ૬ યુવકોનાં ઘટનાસ્થળે જ મોત નીપજ્યાં હતાં. એક યુવાન ગંભીર રીતે ઘાયલ થયો છે. બધા મૃતકો અજમેર નજીકના બ્યાવરના રહેવાસી હતા. બ્યાવરની તરફ જઇ રહેલી બોલેરો કાર ડાંગિયાવાસ ગામ પાસે ઓવરટેક કરવા જતાં સામેથી આવતા ટ્રેલરથી ગંભીર રીતે અથડાઇ હતી, ખૂબ જ વધારે ઝડપ હોવાને લીધે બોલેરોનો કચ્ચરઘાણ નીકળી ગયો હતો. ત્રણ યુવાનોનાં મૃત્યુ ઘટનાસ્થળે જ નીપજ્યાં હતાં. અકસ્માત એટલો ભયાનક હતો કે ૨ યુવકોનાં માથાં ધડથી અલગ થઇ ગયાં હતાં.
૨ યુવકોનાં રાત્રે હોસ્પિટલ લઇ જતા સમયે અને એક યુવકનું આજે સારવાર દરમિયાન મોત નીપજ્યું છે.
ડાંગિયાવાસ પોલીસના જણાવ્યા મુજબ, ડાંગિયાવાસ હાઇવે પર ૧૭ માઇલ નજીક ટ્રેલર અને બોલેરો રાત્રે ૧૧ઃ૪૫ વાગ્યે ટકરાયાં હતાં. જે સ્થળે અકસ્માત થયો છે ત્યાં રસ્તાનું નિર્માણકાર્ય હાલ ચાલુ છે. એને કારણે એક તરફ ટ્રાફિક બંધ હતો. આ અકસ્માત ઓવરટેકિંગ દરમિયાન થયો હતો. બોલેરોમાં મુસાફરી કરી રહેલા સાત યુવકો અંદર જ ફસાઇ ગયા હતા. અકસ્માત થતાં ટ્રેલરનો ડ્રાઇવર ભાગી છૂટ્યો હતો.
દુર્ઘટના પછી ત્યાંથી પસાર થઇ રહેલા વાહનચાલકોએ ગાડીઓ રોકીને રાહતકાર્ય શરૂ કરી પોલીસને ઘટનાની જાણકારી આપી હતી. થોડી જ વારમાં પોલીસ પણ ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી. બોલેરોમાં ફસાયેલા યુવકોને બહાર લાવવા ભારે મહેનત કરવી પડી. ઘાયલોને હોસ્પિટલ પહોંચાડવા માટે એમ્બ્યુલન્સ પણ મોડી પહોંચી હતી, એને લીધે નજીકનાં વાહનો દ્વારા ઘાયલોને હોસ્પિટલ ખસેડાયા હતા. રસ્તામાં જ ૨ યુવકનાં મોત થઈ ગયાં હતાં. આજે હોસ્પિટલમાં સારવાર દરમિયાન એક યુવકનું મોત નીપજ્યું હતું.
પોલીસના જણાવ્યા મુજબ, બ્યાવર પોલીસ સ્ટેશન વિસ્તારના લોન્દરી માલગાંવના રહેવાસી ૭ લોકો બોલેરોમાં હતા, જેમાં સુમેરસિંહ (૨૧) રાવતરામ (૨૦), મનોહર (૨૧), જિતેન્દ્ર ઉર્ફે ચીકુ (૨૧), રાજેશ (૨૨) અને સિકંદરસિંહ સાવરનું મોત નીપજ્યું હતું, જ્યારે ચંદનસિંહ (૨૩)ની સારવાર ચાલી રહી છે.