જુહી ચાવલાએ આર્યનના જામીનના કાગળ પર સહી કરી

મુંબઈ, આર્યન ખાનના જામીન માટેની તમામ દસ્તાવેજી કાર્યવાહી પૂરી થઈ ગઈ હોવાનું તેના વકીલ સતીષ માનશિંદેએ જણાવ્યું છે. ગઈકાલે બોમ્બે હાઈકોર્ટે આર્યનને જામીન આપ્યા હતા. જેનો ઓર્ડર આજે તૈયાર થયો હતો.
ત્યારબાદ ઓર્ડરને જેલના અધિકારીઓ સમક્ષ રજૂ કરવાની કાર્યવાહી કરવામાં આવી હતી. કોર્ટની સૂચના અને શરતો અનુસાર આર્યનની જામીનના દસ્તાવેજ તૈયાર થાય હતા. પ્રાપ્ત વિગતો અનુસાર જુહી ચાવલાએ આર્યનના જામીનના કાગળો પર સહી કરી છે.
આર્યનના વકીલ સતીષ માનશિંદેના જણાવ્યા અનુસાર, હાઈકોર્ટના આદેશની નકલ તેમને મળી ગઈ છે. જજ એકવાર જામીનનો સ્વીકાર કરે ત્યારબાદ અન્ય ફોર્માલિટી કરવામાં આવતી હોય છે. આજ સાંજ સુધીમાં આ તમામ કામગીરી પૂરી થઈ જશે. બોન્ડ સાઈન થયા બાદ તેને લઈને સીધા કોર્ટથી જેલ જવામાં આવશે. આ તમામ દસ્તાવેજાે જેલના સત્તાધીશો સમક્ષ રજૂ કરતાં જ આર્યનને મુક્ત કરાશે.
પોતાના દીકરાના જામીનનો ઓર્ડર લઈને શાહરુખ ખાન પોતે આર્થર રોડ જેલ પહોંચશે. આ જ જેલમાં હાલ આર્યન જ્યુડિશિયલ કસ્ટડીમાં છે. થોડા દિવસ પહેલા શાહરુખ તેને મળવા માટે પણ ગયો હતો. આર્યનની સાથે મુનમુન ધામેચા અને અરબાઝ મર્ચન્ટને પણ કોર્ટે ગઈકાલે જામીન આપી દીધા હતા. હાઈકોર્ટનો આદેશ આવતા જ શાહરુખે પોતાના વકીલોની ટીમનો ખાસ આભાર વ્યક્ત કર્યો હતો.
હાલ મળતી વિગતો અનુસાર, આર્યન ખાનને પોતાનો પાસપોર્ટ જમા કરાવવો પડશે. તેને દેશની બહાર જતા પહેલા પણ કોર્ટની પરવાનગી મેળવવી પડશે. વળી, તેને દર શુક્રવારે એનસીબીની ઓફિસમાં હાજરી પણ પૂરાવવી પડશે.
તપાસમાં પૂર્ણ સહયોગ આપવાની સાથે આર્યન પોતાના સહઆરોપીઓ સાથે પણ વાત નહીં કરે, તેમજ કેસને લગતા કોઈ તથ્યો, પુરાવા કે સાક્ષીને પ્રભાવિત કરવાનો પ્રયાસ પણ નહીં કરી શકે.
આર્યનને ૨૮ ઓક્ટોબરના રોજ જામીન પર છોડવાનો બોમ્બે હાઈકોર્ટે આદેશ કર્યો હતો. જાેકે, ઓર્ડરની નકલ તૈયાર ના હોવાથી તેમજ ઓફિસના કામકાજનો સમય પૂરો થઈ ગયો હોવાના કારણે આર્યનને વધુ એક રાત માટે જેલમાં રહેવું પડ્યું હતું.SSS