ઝઘડિયાના અવિધા ગામે કપિરાજે હુમલો કરીને ૭ વ્યક્તિઓને જખ્મી કર્યા.
(વિરલ રાણા) ભરૂચ,
ભરૂચ જીલ્લાના ઝઘડિયા તાલુકાના અવિધા ગામે કપિરાજના હુમલામાં એક મહિલા સહિત કુલ ૭ જેટલી વ્યક્તિઓને ઈજાઓ થઈ હતી.અવિધાના સામાજિક અગ્રણી મહેશભાઈ પાટણવાડીયાના જણાવ્યા મુજબ અવિધા ગામે પાછલા કેટલાક સમયથી કપિરાજનો ત્રાસ ઉભો થયો છે.કેટલાક તોફાની કપિરાજો દ્વારા માણસો પર હુમલા કરવાની ઘટનાઓ બનતી હોઈ ગ્રામજનો ભયભીત બન્યા છે.
વધુમાં મળતી વિગતો મુજબ હાલમાં કપિરાજે હુમલો કરતા એક મહિલા સહિત ૭ વ્યક્તિઓ જખ્મી થઈ હતી. અવિધા ગામના દિપકભાઈ પટેલ, હરેશભાઈ પટેલ, જતીનભાઈ પટેલ, નિર્મલભાઈ પરમાર, હિતેશભાઈ પટેલ, કમલેશભાઈ પટેલ તેમજ ગીતાબેન પટેલ કપિરાજના હુમલામાં ઈજાગ્રસ્ત થતાં તેઓને સામુહિક આરોગ્ય કેન્દ્ર ખાતે સારવાર માટે લઈ જવાયા હતા.
આ ઈજાગ્રસ્ત વ્યક્તિઓને જખમ પર ટાંકા લેવા પડ્યા હતા.કપિરાજ દ્વારા માણસો પર હુમલો કરાયો હોવાની ઘટના બાદ ગ્રામજનો ભયભીત બન્યા છે અને તોફાની કપિરાજને ઝડપી લેવાની માંગ કરી રહ્યા છે.ઉલ્લેખનીય છે કે ઝઘડિયા તાલુકાના ઘણા ગામોમાં પાછલા લાંબા સમયથી કપિરાજનો ત્રાસ જણાય છે.આ પહેલા સારસા ગામે પણ કપિરાજના હુમલામાં ઘણી વ્યક્તિઓ ઈજાગ્રસ્ત થઈ હતી.
અવિધા ગામે કપિરાજના હુમલામાં ૭ વ્યક્તિઓ જખ્મી થતા વનવિભાગને જાણ કરાતા વનવિભાગ દ્વારા તોફાની કપિરાજને ઝડપી લેવા કવાયત હાથ ધરવામાં આવી હોવાનું જાણવા મળ્યુ હતું.