ઝઘડિયા ખાતે બીજા માળના ધાબા પરથી નીચે પડેલ શ્રમજીવીનું ઘટના સ્થળે મોત.
ઝઘડિયાના વાલિયા રોડ પર નવા બનનાર કોમ્પ્લેક્ષ ખાતેનો બનાવ.
(વિરલ રાણા) ભરૂચ,ઝઘડિયા ખાતે એક નવા બની રહેલ કોમ્પ્લેક્ષના બીજા માળના ધાબા પરથી નીચે પટકાયેલ શ્રમજીવીનું ઘટના સ્થળે જ કરૂણ મોત નીપજ્યું હતું.ઝઘડિયા પોલીસ માંથી મળતી વિગતો મુજબ ઝઘડીયાના વાલિયા રોડ પર રાધે એન્કલેવ નામના કોમ્પ્લેક્ષનુ હાલ બાંધકામ ચાલુ છે.આ કોમ્પ્લેક્ષના બાંધકામમાં કામ કરતા શ્રમજીવી મજુરો પૈકી કેટલાક કોમ્પલેક્ષના ધાબા પર સુઈ રહેતા હતા.
દરમ્યાન મુળ રાજસ્થાનના બાંસવાડા જીલ્લાનો ટીમકભાઈ ગલિયાભાઈ કટારા નામનો ૩૨ વર્ષીય ઈસમ રાતના કોમ્પ્લેક્ષના બીજા માળના ધાબા પર સુતો હતો.આ ઈસમ રાતના પેસાબ કરવા જઈ રહ્યો હતો તે દરમ્યાન ધાબા ઉપરથી નીચે પટકાતા તેને કપાળ તેમજ માથાના ભાગે ગંભીર ઈજાઓ થઈ હતી.
ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયેલ આ શ્રમજીવી ઈસમને નાક માંથી તેમજ કાન માંથી લોહી નીકળવા લાગ્યું હતું.ધાબા પરથી નીચે પડી જવાની ઘટનામાં ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયેલ ટીમકભાઈ કટારાને સારવાર મળે તે પુર્વે ઘટના સ્થળેજ તેનું કરુણ મોત નીપજ્યું હતું.
આ ઘટના અંગે કોમ્પ્લેક્ષના બાંધકામમાં કામ કરનાર અન્ય ઈસમ દિનેશભાઈ મગનભાઈ ખાડિયા મુળ રહે.ગેરયાભાત્રા,જિ.બાંસવાડા, રાજસ્થાનનાએ ઝઘડિયા પોલીસમાં જાણ કરી હતી. પોલીસે આ બનાવ સંદર્ભે કાયદેસર કાર્યવાહી હાથધરી હતી.