ઝઘડિયા GIDCમાં કામ કરતો કામદાર પાંચમાં માળથી નીચે પટકાતા મોત

જીઆઈડીસીમાં કામદારોની સલામતી બાબતે સવાલો ઉઠ્યા.
(વિરલ રાણા) ભરૂચ,
ભરૂચ જીલ્લાના ઝઘડિયા ખાતેની જીઆઈડીસીમાં એક કંપનીમાં કામ કરતા એક કામદારનું પાંચમાં માળ પરથી નીચે પડી જતા મોત નીપજ્યુ હતું.ઝઘડિયા પોલીસ માંથી મળતી વિગતો મુજબ ઝઘડિયા જીઆઈડીસીમાં આવેલ અનુપમ રસાયણ નામની કંપનીમાં વાલિયા તાલુકાના ડહેલીનો અનિલભાઈ તલીયાભાઈ વસાવા નામનો ૨૬ વર્ષીય યુવક કામ કરતો હતો તે દરમ્યાન તે પાંચમાં માળ પરથી નીચે પડ્યો હતો.
પાંચમાં માળ પરથી નીચે પડેલ અનિલ ગંભીર રીતે ઈજાગ્રસ્ત થતાં તેને સારવાર માટે અંકલેશ્વર ખાતે એક ખાનગી દવાખાનામાં લઈ જવાયો હતો.જ્યાં ફરજ પરના તબીબે અનિલને મરણ પામેલ જાહેર કર્યો હતો. આ ઘટના બાબતે રૂપજીભાઈ નારસીંગભાઈ વસાવા રહે.ગામ ડહેલી,તા.વાલિયાનાએ ઝઘડિયા પોલીસમાં જાણ કરતા પોલીસે વધુ તપાસ હાથ ધરી હતી. આ યુવક કોઇ અગમ્ય કારણોસર નીચે પડી ગયો હોવાનું જણાવાયું હતું.
ઉલ્લેખનીય છે કે ઝઘડિયા જીઆઈડીસીમાં કામ કરતા કેટલાક કામદારોના અવારનવાર આવા આકસ્મિક અકસ્માતોમાં મોત થતાં હોવાની ઘટનાઓ બનતી જોવા મળે છે.ત્યારે ઝઘડિયા જીઆઇડીસીમાં વિવિધ કંપનીઓમાં કામ કરતા કામદારોની સલામતી માટે ઉધોગ સંચાલકો ઉણા ઉતરતા હોવાની લાગણી તાલુકાની જનતામાં સ્પષ્ટપણે દેખાઇ રહી છે.
ઘણીવાર સર્જાતી આવી કરુણ ઘટનાઓ બનતી અટકાવવા કોઈ ચોક્કસ નિયમોની જરૂર વર્તાય છે.જીઆઈડીસીમાં કામ કરીને પરિવારનું ગુજરાન ચલાવતા શ્રમિકોની સલામતી માટે ઔદ્યોગિક કંપનીઓ અસરકારક ભુમિકા અપનાવવા આગળ આવે તે માટે તંત્રએ યોગ્ય પગલા લેવા પડશે તેવી આજના સમયની માંગ છે