ઝઘડિયા તાલુકાના રાજપારડીના ૨૭ વર્ષીય યુવકની વીજ લાઈન ઉપર લંગરીયું નાંખી આત્મહત્યા
(પ્રતિનિધિ) ભરૂચ, ભરૂચ જીલ્લાના ઝઘડિયા તાલુકાના રાજપારડી ભદાલી ખાતે રહેતા એક ૨૭ વર્ષીય યુવકે આજે એક ખેતર માંથી પસાર થતી ઈલેક્ટ્રિક વીજ લાઈન ઉપર લોખંડના તારનું લંગરીયું નાંખીને વીજ કરંટથી આત્મહત્યા કરી લીધી હોવાની ઘટના બનવા પામી છે.
રાજપારડી પોલીસ માંથી મળતી વિગતો મુજબ રાજપારડી ભદાલીના ચંદાબેન દિલિપભાઈ વસાવા નામની મહિલાનો ૨૭ વર્ષીય પુત્ર જયદેવભાઈ વસાવા આજરોજ સવારે સીમમાં ઘાસચારો લેવા ગયો હતો. ત્યાર બાદ અગિયાર વાગ્યાના અરસામાં બે અજાણ્યા ગોવાળીયા તેમના ઘરે આવ્યા હતા અને જણાવ્યું હતુંકે ભદાલી ગામની સીમમાં એક ખેતરમાં તમારો છોકરો જયદેવ સુતો છે.
આ સાંભળીને ચંદાબેન તેમજ તેમનો બીજો પુત્ર ચંપકભાઇ ખેતરે તપાસ કરવા ગયા હતા. ભદાલી ગામની સીમમાં એક પડતર ખેતરમાં જયદેવ પડેલો જણાયો હતો.તેના ડાબા હાથનો પંજો અલગ થઈ ગયેલ હતો.તેમજ ડાબા હાથે અને શરીરના ભાગે દાઝી ગયેલ હતો.
તેની નજીકમાં લોખંડના તારનું લંગરીયું ખેતરમાંથી પસાર થતી વીજ લાઈન પર નાંખેલ દેખાયુ હતું.જેને લઈને જયદેવભાઈએ કોઈ અગમ્ય કારણોસર ઇલેક્ટ્રિક લાઈન પર લંગરીયું નાંખીને વીજ કરંટ દ્વારા આત્મહત્યા કરી હોવાની શંકા સાથે મૃતકની માતા ચંદાબેન વસાવાએ રાજપારડી પોલીસમાં ઘટના અંગે જાણ કરી હતી.રાજપારડી પોલીસે આ અંગે ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથધરી હતી.