ઝીરો બજેટથી ઝાઝી કમાણી કરતા અરવલ્લીના નટ્ટભાઇ
![](https://westerntimesnews.in/wp-content/uploads/2020/09/06-5-1024x683.jpg)
નટ્ટભાઇના નવતર અભિગમથી ખેતીમાં વર્ષે રૂ. ૩ લાખથી વધુની કમાણી કરે છે*- પરંપરાગત ખેતી છોડી પ્રાકૃતિક ખેતીથી જીવનમાં આવ્યું આમૂલ પરીવર્તન*
દેશી ગાય આધારીત પ્રાકૃતિક ખેતીથી નટ્ટભાઇએ ખેતીમાં નવી રાહ ચિંધી*
પ્રતિનિધિ દ્વારા ભિલોડા: ગુજરાતના રાજયપાલ શ્રી આચાર્ય દેવવ્રત દ્વારા સુભાષ પાલેકર પ્રાકૃતિક ખેતીના જિલ્લાઓમાં પરીષદો યોજીને પ્રાકૃતિક ખેતીને પોત્સાહન આપી રહ્યા છે. તેમાંથી મોટાભાગના ખેડૂત પરંપરાગત ખેતી છોડીને પ્રાકૃતિક ખેતી તરફ વળ્યા છે. આવા જ એક ખેડૂત છે અરવલ્લીના મોડાસા તાલુકાના હફસાબાદના નટ્ટભાઇ ચમાર કે જેઓ ઝીરો બજેટથી ઝાઝી કમાણી કરી રહ્યા છે.
પોતાની બાપીકી માત્ર દોઢ હેકટર જમીન ધરાવતા હફસાબાદના નટ્ટભાઇ ચમારે ચાર વર્ષ પહેલા પ્રાકૃતિક ખેતીની શરૂઆત કરી અને આજે આર્ગેનિક શાકભાજી ખેતી અને ઘંઉના પાકથી વાર્ષિક રૂ. ૩ લાખની કમાણી કરે છે.
પોતાના જીવનમાં આવેલા આમૂલ પરીવર્તનની વાત કરતા નટ્ટભાઇ કહે છે કે, આત્મા પ્રોજેક્ટની ખેતી શિબિરમાં જોડાયા બાદ ખેતીની નવિન પધ્ધતિ વિષે જાણકારી મેળવી, પરંતુ તેમને રાસાયણિક ખાતર, જંતુનાશક દવાઓ કરતા તેમને પ્રાકૃતિક ખેતીમાં વધારે રસ હતો અને તેમની આ વાતને વેગ મળ્યો સુભાષ પાલેકર પ્રાકૃતિક ખેતીની વડતાલ શિબિરમાં તેમાં જીવામૃત અને ધનજીવામૃતનો વપરાશ દ્વારા જીરો બજેટથી વધુ આવક કઇ રીતે મેળવી શકાય તેની દિશા મળી,
તેમણે શરૂઆતમાં દેશી ગાય રાખી અને તેના છાણ-મૂત્ર અને માટી, સૂંઠ, ગોળ,ચણાનો લોટ સહિત ઘરેલુ વપરાશની દ્વારા જીવામૃત બનાવ્યું જેમને થોડીક સફળતા મળી પણ પ્રથમ વર્ષે ઉત્પાદન કઇ ખાસ ન મળ્યું. ધીમે ધીમે તેમણે સુભાષ પાલેકરની તમામ ખેતી શિબિરમાં જોડાતા ગયા અને તેની પધ્ધતિની જાણકારી મેળવી હવે પાલેકર પધ્ધતિથી બ્રહ્માસ્ત્ર અને અગ્નિહસ્ત્ર પધ્ધતિથી જીવામૃત અને ઘનજીવામૃત દવાનો છંટકાવ કરી રહ્યા છે. તેમણે મોડાસાની આસપાસના વિસ્તારોમાં શાકભાજીની માંગ વધારે હોવાથી ફૂલાવર, કોબીઝ, ભીંડા,દૂધી અને કારેલાની ખેતી શરૂ કરી અને તેમાં ઉત્પાદન શરૂ કર્યું.
આ ઉપરાંત તેમણે આસપાસમાં વરસાદી ખેતી પર આધારીત ખાલી પડી રહેતા પાંચ હેકટર જમીનના ખેતરો ભાડ્ડાપટ્ટે ઓર્ગેનિક ઘંઉનું વાવેતર શરૂ કર્યુ જેમાંથી ૧૦૦ મણથી વધુ ઘંઉનું ઉત્પાદન થયું. જેનો બજાર ભાવ કરતા બમણા ભાવે વેચાણ કર્યું તેમના વાવેતરની મહેંક આસપાસના વિસ્તારોમાં પણ પ્રસરતા ચાલુ વર્ષે લોકોએ ૧૦૦ મણથી વધુ ઘંઉ બુંકિગ પણ કરાવીને એડવાન્સ પૈસા પણ ચુકવી દિધા છે.
તેમની ખેતીથી પ્રેરાઇને આસપાસના ગ્રામજનો ખેડૂતોએ પાલેકર ખેતી તરફ પ્રયાણ કર્યું, જેમને આ વિષે સમજ હતી તેવા ખેડૂતોને વિનામૂલ્યે તાલીમ પણ આપી નટ્ટભાઇએ અત્યાર સુધી જિલ્લાના ૭૦૦થી વધુ ખેડૂતોને પાલેકર ખેતી વિષે તાલીમબધ્ધ કર્યા.
વધુ વાત કરતા નટ્ટભાઇ કહે છે કે રાસાયણિક ખાતર અને દવાઓ પાછળ વર્ષે રૂ. ૮૦,૦૦૦થી વધુનો ખર્ચે થતો હતો જે બચી ગયો કેમકે ઘરની ગાય અને તેના છાણ-મૂત્રમાંથી જ (ઝીરો બજેટ)થી ખાતરનું ઉત્પાદન થાય છે અને ઉત્પાદન તેના કરતા પણ ડબલ થાય છે તો શુ કામ રાસાયણિક ખાતરની ઝંઝટમાં પડવું.
![]() |
![]() |
આત્મા પ્રોજેક્ટના તાલુકા પ્રમુખ અને સભાષ પાલેકર પ્રાકૃતિક ખેતીના તાલુકા કન્વીનર એવા નટ્ટભાઇ ચમારને રાજ્યપાલ શ્રી દેવવ્રતે દાંતીવાડા ખાતે વિશેષ સન્માન કરી તેમની ખેત પધ્ધતિને બિરદાવી છે. તેઓ અત્યાર સુધી પાલેકર પધ્ધતિની જાણકારી મેળવવા મહારાષ્ટ્ર, દિલ્હી અને અન્ય રાજયોના પ્રવાસ પણ ખેડી ચુક્યા છે. જો નટ્ટભાઇની જેમ તમામ ખેડૂતો પ્રાકૃતિક ખેતી અપનાવે બંઝર જમીન પણ નંદનવન જરૂર બની જાય.
લી.જીત હરેશભાઈ ત્રિવેદી,ભિલોડા,જી.અરવલ્લી