ટ્રેનમાં રાત્રે મોબાઇલ પર મોટા અવાજે મ્યુઝીક સાંભળવા કે અવાજ કરવા પર થશે કાર્યવાહી
નવી દિલ્હી: ટ્રેનોમાં હવે રાતની ઊંઘ ડિસ્ટર્બ નહિ થાય, તમારી આસપાસ કોઈ પણ મુસાફર મોબાઇલ ફોન પર જોરથી બોલી શકશે નહીં, કે મોટા અવાજે સંગીત સાંભળી શકશે નહીં. મુસાફરોની સુવિધાને ધ્યાનમાં રાખીને ભારતીય રેલવેએ એક મોટો નિર્ણય લીધો છે. મુસાફરોની ફરિયાદના કિસ્સામાં રેલવે આવા લોકો સામે કાર્યવાહી કરશે.
એટલું જ નહીં ટ્રેનની સામગ્રીની જવાબદારી પણ નક્કી કરવામાં આવશે. આ અંગે રેલવે મંત્રાલયએ તમામ ઝોનને આદેશ જારી કર્યા છે જેથી આ આદેશનો તાત્કાલિક અસરથી અમલ થઈ શકે.
રેલવે મંત્રાલયના જણાવ્યા અનુસાર, મુસાફરો ઘણીવાર ફરિયાદ કરતા હતા કે સહમુસાફરો મોબાઇલ પર જોરથી વાત કરે છે, અથવા સંગીત સાંભળે છે. એવી ફરિયાદો પણ હતી કે કોચમાં એક જૂથ રાત્રે મોટે મોટેથી ડિસક્શન કરી રહ્યું હતું. આ ઉપરાંત રાત્રે લાઈટો કરવા બાબતે પણ વિવાદ પણ થયો હતો, જેની ફરિયાદ રેલવેને પણ કરવામાં આવી હતી.
મુસાફરોને આવી અસુવિધાને ધ્યાનમાં રાખીને ભારતીય રેલવેએ એક મોટો નિર્ણય લીધો છે અને આદેશ જારી કર્યો છે. હવે આ અંગે કોઈ પણ મુસાફર ફરિયાદ નોંધાવી શકે છે જેના પર ટ્રેન સ્ટાફ તાત્કાલિક કાર્યવાહી કરશે. જો ફરિયાદનો ઉકેલ નહીં આવે તો હવે રેલવે સ્ટાફની જવાબદારી પણ નક્કી કરવામાં આવશે. આ આદેશો તાત્કાલિક અસરથી અમલમાં મૂકવામાં આવ્યા છે.