ડૉક્ટર પતિના મોતનો આઘાત સહન નહિ થતા પ્રોફેસર પત્નિનો આપઘાત
(એજન્સી) ભોપાલ,મધ્યપ્રદેશના ભોપાલમાં ડોક્ટર પતિના મોતના સમાચાર સાંભળ્યા બાદ માત્ર એક જ કલાકમાં મૃતકના પ્રોફેસર પત્નીએ પણ પતિના મોતનો આઘાત સહન નહિ થતા ભોપાલના ભદભદા બ્રિજ પરથી કૂદીને આત્મહત્યા કરી લીધી હતી પતિ-પત્નીની અર્થી એકસાથે ઊઠતા ભારે કરૂણ દ્રશ્યો સર્જાયા હતા.
આ કરૂણ ઘટનાની પ્રાપ્ત વિગતો મુજબ ભોપાલના જાનકીનગર, ચૂનાભટ્ટીમાં રહેતા ૪૭ વર્ષના ડોક્ટર પરાગ પાઠક ભાભા મેડિકલ કોલેજમાં પ્રોફેસર હતા.
૨૮ એપ્રિલની સવારે ૯ વાગે ડોક્ટર પાઠકની તબિયત અચાનક બગડતાં તેમનાં આસિસ્ટન્ટ પ્રોફેસર પત્ની પ્રીતિ ઝારિયા (૪૪)એ પતિને સારવાર માટે અરેરા કોલોની સ્થિત નેશનલ હોસ્પિટલમાં ખસેડયા હતા જ્યાં તેઓનું બ્રેન હેમરેજનું નિદાન થયું અને ગંભીર સ્થિતિમાં બીજા દિવસે સર્જરી બાદ તેમને વેન્ટિલેટર પર રાખવામાં આવ્યા હતા.દરમિયાન તા.૨જી મેની રાત્રે લગભગ ૨ વાગે ડોક્ટરે પ્રીતિને જણાવ્યું હતું કે તેમના પતિ પરાગનું મોત થયું છે.
આ સાંભળી ભારે આઘાતમાં આવી ગયેલી પ્રીતિએ મોટા ભાઈને ફોન કર્યો. આ સાંભળીને બન્ને ભાઈ રાજેન્દ્ર કુમાર ઝારિયા, રાજેશ કુમાર ઝારિયા હોસ્પિટલ આવવા નીકળી ગયા. આ સમયે પ્રીતિએ ડોક્ટરને કહ્યું કે હવે તેમને જીવવાનો કોઈ અર્થ નથી. આ દુનિયામાં મારું કોઈ નથી. તેઓ ભદભદા બ્રિજ પર આત્મહત્યા કરવા જઈ રહ્યા છે. તેમ કહીને કાર લઈ નીકળી ગયા હતા બીજી તરફ હોસ્પિટલ પહોંચેલા ભાઈઓએ ડોક્ટરને પૂછતાં તેઓએ આખી વાત જણાવતા બન્ને ભાઈ પ્રીતિને શોધવા માટે ભદભદા તરફ જતા તેઓ ત્યાં પહોંચે ત્યા સુધીમાં પ્રીતિએ મોતની છલાંગ લગાવી દીધી હતી ત્યાર બાદ પોલીસને જાણ કરવામાં આવતા મૃતદેહ બહાર કાઢવામાં આવ્યો હતો.
જબલપુરની રહેવાસી પ્રીતિ ભોપાલમાં નરેલા કોલેજમાં આસિસ્ટન્ટ પ્રોફેસર હતાં. તેમના લગ્ન ચાર વર્ષ અગાઉ થયા હતા. બન્નેને કોઈ સંતાન ન હતા. ડોક્ટર પરાગ પાઠકના પિતા હરિશંકર પાઠક ડેપ્યુટી કલેક્ટર હતા. તેમનું મૃત્યુ થઈ ચૂક્યું હતું, જ્યારે પરાગની માતા શોભા પાઠક સ્ત્રીરોગ નિષ્ણાત છે. તેઓ દીકરા અને વહુ સાથે રહેતાં હતાં. દીકરાની તબિયત બગડતાં તેઓ હોસ્પિટલમાં જ તેમની સાથે હતાં. મંગળવારે રાત્રે પણ તેઓ વહુની સાથે હતાં,દીકરાના મોત બાદ તેઓ હોસ્પિટલમાં જ ભાગી પડ્યા હતા હવે પોતે એકલાજ આઘાત સહન કરવા બચી ગયા છે.આ ઘટના ને લઈ સ્થાનિક વિસ્તારમાં ભારે અરેરાટી વ્યાપી ગઈ છે.