તસવીરોમાં જૂઓ અયોધ્યાનો ભવ્ય રામદરબારઃ 14 મૂર્તિઓની પણ થઈ પ્રતિષ્ઠા

મંદિર પરિસરમાં ભગવાનના શેષ અવતાર સહિત મા અન્નપૂર્ણા, ગણેશ, ભગવતી, ભગવાન શિવ, ભગવાન રામના પરિવારના દેવતા, ભગવાન સૂર્ય અને હનુમાનજીના મંદિર મળી કુલ ૮ મંદિરોમાં ૧૪ મૂર્તિઓની પ્રાણ પ્રતિષ્ઠા પૂર્ણ થઈ છે.
(એજન્સી)અયોધ્યા, ભગવાન શ્રી રામની નગરી અયોધ્યા બીજી વાર પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવની સાક્ષી બની રહી છે. કારણ કે શ્રી રામ જન્મભૂમિ મંદિરના પ્રથમ માળે રામ દરબારની પ્રાણ પ્રતિષ્ઠાનો ભવ્ય મહોત્સવ યોજાયો છે. 22 જાન્યુઆરી, 2024ના રોજ રામ લલ્લાની પ્રાણ પ્રતિષ્ઠા બાદ રામ દરબારમાં રામ, સીતા સહિત અન્ય 14 મૂર્તિઓની પ્રતિષ્ઠા કરવામાં આવી હતી.
૩ જૂનથી શરૂ થયેલા આ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવનો આજે અંતિમ દિવસ છે, ત્યારે મહોત્સવમાં ભાગ લેવા માટે ઉત્તરપ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ આજે રામ મંદિર પહોંચ્યા હતા.
રામનગરી અયોધ્યા ફરી એકવાર ઐતિહાસિક ક્ષણની સાક્ષી બની છે. આજે સવારે ૧૧.૨૫ વાગ્યે અભિજિત મુહૂર્તમાં રામ મંદિરમાં રામ દરબારની પ્રાણ પ્રતિષ્ઠા કરવામાં આવી છે. આ દરમિયાન મંદિર પરિસરમાં ભગવાનના શેષ અવતાર સહિત મા અન્નપૂર્ણા, ગણેશ, ભગવતી, ભગવાન શિવ, ભગવાન રામના પરિવારના દેવતા, ભગવાન સૂર્ય અને હનુમાનજીના મંદિર મળી કુલ ૮ મંદિરોમાં ૧૪ મૂર્તિઓની પ્રાણ પ્રતિષ્ઠા આજે પૂર્ણ થઈ છે.
राजा राम चंद्र की जय 🙏#RamDarbar pic.twitter.com/eSs6hhBA6E
— Adv Abhishek Gaharwar (@AdvAbhishekSinh) June 5, 2025
શ્રી રામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્ર ટ્રસ્ટ દ્વારા આયોજિત આ ત્રણ દિવસીય ધાર્મિક મહોત્સવની શરૂઆત ૩ જૂનથી થઈ હતી. જેમાં ગણેશ પૂજન, પ્રાયશ્ચિત કર્મ પૂજા અને મહિલાઓ દ્વારા ભવ્ય કળશ યાત્રા જેવી વિધિઓ યોજાઈ હતી. બીજા દિવસે યજ્ઞશાળામાં હવન, આરતી અને અન્નાધિવાસ, ઘૃતાધિવાસ, જલાધિવાસ જેવી વૈદિક વિધિઓનું આયોજન કરાયું હતું. આજે અંતિમ દિવસે મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ પણ પ્રાણ પ્રતિષ્ઠાની પ્રક્રિયામાં સહભાગી થયા હતા.
આ વખતે ભગવાન શ્રીરામને રાજા રામના રૂપમાં તેમના પરિવાર – સીતા, લક્ષ્મણ, હનુમાન અને અન્ય સાથે રામ દરબારમાં સ્થાપિત કરવામાં આવ્યા છે. આજે અભિજિત મુહૂર્તમાં ૧૦૧ વૈદિક વિદ્વાનો દ્વારા વૈદિક રીત-રિવાજો સાથે રામ દરબારની પ્રાણ પ્રતિષ્ઠા કરવામાં આવી છે. આ ઉપરાંત, મંદિર પરિસરમાં આવેલા આઠ અન્ય મંદિરોમાં પણ દેવ વિગ્રહોની સ્થાપના કરવામાં આવી છે.
આ શુભ અવસરે સીએમ યોગી આદિત્યનાથ યજમાન બન્યા છે, તેઓ હેલિકોપ્ટર મારફતે અયોધ્યા પહોંચ્યા છે. UP CM યોગીએ વૈદિક આચાર્યોની હાજરીમાં રામ દરબારની પ્રાણ પ્રતિષ્ઠામાં ભાગ લઈ વિધિવત્ રીતે મંત્રોચ્ચાર સાથે ખાસ પૂજા કરી હતી.
બાદમાં મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે કહ્યું કે, આજે ગંગા દશેરાની પવિત્ર તિથિ છે, જેથી આજનો દિવસ ખૂબ જ મહત્વપૂર્ણ અને પવિત્ર છે. મહારાજ ભગીરથની તપસ્યાને કારણે દિવ્ય નદીનું અવતરણ થયું અને મા ગંગાના કારણે, માત્ર મોક્ષ પ્રાપ્તિની ઇચ્છા જ નહીં, પરંતુ દરેક ભારતવાસીની ઇચ્છા પણ પૂર્ણ થઈ છે.