તીર્થધામ શામળાજીમાં ૨૪ કુંડી ગાયત્રી મહાયજ્ઞ યોજાયો
ગાયત્રી શક્તિપીઠ, શામળાજીના ૪૨મા પાટોત્સવની ભવ્ય ઉજવણી થઈ: અખિલ વિશ્વ ગાયત્રી પરિવારના પ્રમુખ શ્રદ્ધેયા શૈલજીજી તેમજ આદ. ડૉ. ચિન્મય પંડ્યાજી ઉપસ્થિત રહ્યા
(પ્રતિનિધિ) મોડાસા, ગાયત્રી શક્તિપીઠ, શામળાજીના ૪૨મા પાટોત્સવ કાર્યક્રમમાં આજ વહેલી સવાર થી જ ગુજરાતભરમાંથી ગાયત્રી સાધકોની ભીડ ઉમટી હતી.
આજ ૨૪ કુંડી ગાયત્રી મહાયજ્ઞ અને સંસ્કાર મહોત્સવના યજ્ઞ મંડપમાં હવન કુંડ પર પીતવસ્ત્રધારી ગાયત્રી ઉપાસકોએ અનેરી શોભા વધારી હતી. ગાયત્રી તીર્થ, શાંતિકુંજ, હરિદ્વારથી પધારેલ પ્રતિનિધીશ્રીઓ દ્વારા યજ્ઞિય કર્મકાંડના મંત્રોચ્ચારથી વાતાવરણ ગુંજી રહ્યું હતું.
વિશેષમાં આજ હરિદ્વારથી અખિલ વિશ્વ ગાયત્રી પરિવારના પ્રમુખ શ્રદ્ધેયા શૈલજીજી તથા દેવ સંસ્કૃતિ વિશ્વ વિદ્યાલયના પ્રતિ કુલપતિ આદ. ચિન્મય પંડ્યાજી હેલીકોપ્ટર મારફત સવારે ૧૦:૩૦ કલાકે શામળાજી પહોંચ્યા હતા.
તેમની વિશેષ ઉપસ્થિતિથી હજારોની સંખ્યામાં જનમેદનીમાં અનેરા ઉત્સાહના દર્શન થઈ રહ્યાં હતા. આદ. ડૉ. ચિન્મયજીના પ્રેરણાદાયી ઉદ્બોધન તેમજ શ્રદ્ધેયા શૈલજીજી દ્વારા ગાયત્રી મહામંત્રની ઉપસ્થિત હજારોની સંખ્યામાં સૌએ મંત્રદિક્ષા ગ્રહણ કરી જીવનમાં હંમેશા ગાયત્રી મહામંત્રની ઉપાસનાના સંકલ્પ ગ્રહણ કર્યા.
જીવનમાં સદવિચાર અને સન્માર્ગ તરફ ચાલી જનસેવાના કાર્યોમાં મદદરૂપ થઈ જીવન સાર્થક બનાવવા સંકલ્પિત થયા.
ઉપસ્થિત સૌ ગાયત્રી ઉપાસકો દ્વારા મંત્રોચ્ચાર સાથે ઔષધીય જડીબુટ્ટીઓ યુક્ત હવન સામગ્રીની ગાયત્રી મહાયજ્ઞમાં આહુતિઓ અર્પણ કરવાથી આજ તીર્થધામ શામળાજીનું વાતાવરણ દિવ્ય સુવાસમય બની ગયું હતું. આ સમગ્ર આયોજનમાં સૌને માટે ભોજન-પ્રસાદનું આયોજન કરવામાં આવેલ.