ત્રણ-ત્રણ વર્ષ પાકિસ્તાની જેલમાં રહ્યા બાદ ગીર સોમનાથના માછીમારો વતન પરત ફર્યા
ગીર સોમનાથ, પાકિસ્તાન દ્વારા પોતાની જેલમાં બંધ 20 ભારતીય માછીમારોને મુક્ત કરાતા તમામ માછીમારો વાઘા બોર્ડરથી ભારત પરત ફર્યા હતા. જેઓ આજે માદરે વતન વેરાવળ આવી પહોંચ્યા હતા.
બે-ત્રણ વર્ષ સુધી પરિવારથી દૂર રહેલા માછીમારોને જોતા જ તેના પરિવારજનો તેઓનો ભેંટી પડ્યા હતા અને ચોધાર આંસુએ રડી પડ્યા હતા.
માછીમારોએ લાંબો સમય જેલમાં રહ્યા બાદ માદરે વતન પરત ફર્યાનો આનંદ વ્યકત કર્યો હતો. તો સાથે પાકિસ્તાની જેલમાં બંધ પોતાના સાથીઓને વહેલીતકે મુક્ત કરાવવાની માગ પણ કરી હતી.
પાકિસ્તાની જેલમાં બંધ ભારતીય માછીમારો પૈકીના 20 માછીમારોને પાકિસ્તાન દ્વારા મુક્ત કરવામા આવ્યા હતા. આ તમામ માછીમારોની વાઘા-અટારી બોર્ડર પર ભારતને સોંપણી કરવામા આવી હતી.
ભારત પરત ફર્યા બાદ ફિશરિઝ વિભાગના માધ્યમથી આ તમામ માછીમારો આજે માદરે વતન વેરાવળ પરત પહોંચ્યા હતા. જે 20 માછીમારો પરત ફર્યા છે તેમાં 19 ગીર સોમનાથના અને 1 પોરબંદરનો રહેવાસી છે. નવાબંદરનો એક માછીમાર ચાર વર્ષથી પાકિસ્તાની જેલમાં બંધ હતો. જ્યારે બાકીના માછીમાર બે થી ચાર વર્ષ સુધી પાકિસ્તાની જેલમાં બંધ હતા.