દાંતીવાડા કૃષિ યુનિવર્સિટી ૨૦ વિદ્યાર્થીઓની કેમ્પસ ઇન્ટરવ્યુમાં GSFC માં પસંદગી
(માહિતી બ્યુરો, પાલનપુર)
સરદારકૃષિનગર દાંતીવાડા કૃષિ યુનિવર્સિટી, સરદારકૃષિનગરના નિયામકશ્રી, વિદ્યાર્થી કલ્યાણ ધ્વારા યુનિવર્સિટીના વિદ્યાર્થીઓના અભ્યાસ બાદ ઉજજવળ કારર્કિદી મળી રહે તે માટે ચી. પ. કૃષિ મહાવિદ્યાલય (સરદારકૃષિનગર), કૃષિ મહાવિદ્યાલય, થરાદ અને એગ્રી બીઝનેશ મેનેજમેન્ટ મહાવિધાલય (સરદારકૃષિનગર) ના સ્નાતક અને અનુસ્નાતક કક્ષાએ વર્ષ-૨૦૨૨માં ઉર્તિણ થનાર વિદ્યાર્થીઓ તેમજ ડિપ્લોમા ઇન પોલીટેકનીક ઇન એગ્રીકલ્ચરમાં ઉર્તિણ થનાર ખેડબ્રહ્મા,
ડીસા અને અમીરગઢના વિદ્યાર્થીઓ માટે કેમ્પસ ઇન્ટરવ્યુંનું તા.૧૬/૦૪/૨૦૨૨ થી તા.૧૯/૦૪/૨૦૨૨ દરમ્યાન આયોજન કરવામાં આવ્યું હતું.
જે અંતર્ગત ગુજરાતની નામાંકિત કંપની જી.એસ.એફ.સી. એગ્રોટેક લીમીટેડમાં જુનીયર એકઝીક્યુટીવ અને એકઝીક્યુટીવ પોસ્ટ માટેના કેમ્પસ ઇન્ટરવ્યુંનું આયોજન કરવામાં આવ્યું હતું. આ ઇન્ટરવ્યુંમાં સૌપ્રથમ ઓનલાઇન પરીક્ષા રાખવામાં આવી હતી. જે વિદ્યાર્થીઓ ઓનલાઇન પરીક્ષા પાસ કરેલ તેમને પર્સનલ ઇન્ટરવ્યું માટે પસંદ કરવામાં આવેલ હતા.
જે પૈકી ૨૦ વિદ્યાર્થીઓ આ નામાંકિત કંપનીમાં જુનીયર એકઝીક્યુટીવ અને એકઝીક્યુટીવ પોસ્ટ માટે પસંદગી થયેલ છે. અત્યારની વર્તમાન પરિસ્થિતીમાં વિદ્યાર્થીઓને કેમ્પસ ઇન્ટરવ્યુંમાં જ નોકરી મળતા વિદ્યાર્થીઓમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે તથા ઉજજવળ ભવિષ્યના સપના સેવી રહ્યા છે.
યુનિવર્સિટીના કુલપતિશ્રી ડૉ. આર.એમ.ચૌહાણ તથા વિવિધ કોલેજના આચાર્યશ્રીઓએ પસંદગી પામેલ વિદ્યાર્થીઓને અભિનંદન આપીને ઉજજવળ ભવિષ્ય માટે શુભકામના પાઠવી હતી. નિયામકશ્રી, વિદ્યાર્થી કલ્યાણ ડૉ. કે.પી.ઠાકરના સીધા માર્ગદર્શન હેઠળ શ્રી જે. એસ. પટેલે, ડૉ. સી.બી. મોદી અને શ્રી એમ. એચ. જોષીએ સમગ્ર ઇન્ટરવ્યું પ્રક્રિયાનું સુઆયોજન કર્યુ હતુ.