દાહોદમાં વધુ બે કોરોના પોઝીટીવના કેસો મળી આવતા ખળભળાટ

દાહોદમાં અત્યાર સુધી કોરોના પોઝીટીવના કુલ ૧૩ કેસો નોંધાયા-દાહોદમાં વધુ બે કોરોના પોઝીટીવના કેસો નોંધાતા ચકચાર, મુંબઈથી આવેલા શહેરના કસ્બા વિસ્તારના યુવકનો રિપોર્ટ પોઝીટીવ આવ્યો, ગરબાડા તાલુકાના નેલસુરની ૨૦ વર્ષીય યુવતી પણ કોરોના પોઝીટીવ આવતા દાહોદવાસીઓની ચિંતામાં વધારો, બન્ને કેસોમાં વહીવટીતંત્ર દ્વારા ટ્રાવેલ હિસ્ટ્રીના આધારે ઝીણવટભરી તપાસ હાથ ધરવામાં આવી.
દાહોદ, દાહોદ જિલ્લાના દાહોદ નગરમાં વધુ બે કોરોના પોઝીટીવ કેસ સામે આવતાં દાહોદ જિલ્લામાં ખળભળાટ મચી જવા પામ્યો છે. કુરેશી પરિવારના ૭ સદસ્યો સાથે હવે કોરોના પોઝીટીવનો કુલ આંક ૧૩ પર પહોંચ્યો છે. ત્યારે એક્ટીવ કેસમાં હવે ૯ કેસ રહેવા પામ્યા છે. હાલ વધુ જે બે કેસ પોઝીટીવ આવ્યા છે.તે પૈકી એક ૨૮ વર્ષીય યુવક મહારાષ્ટ્રના બાંદ્રાથી દાહોદ આવ્યો હતો અને એક ૨૦ વર્ષીય યુવતી કોઈક યુવક સાથે ભાગી ગઈ હતી તેને પોલીસે કસ્ટડીમાં લીધી હતી. આ બંન્ને દર્દીઓને કોરેન્ટાઈન કરી દેવામાં આવ્યા છે.
દાહોદમાં એક પછી એક કોરોના પોઝીટીવ કેસ સામે આવી રહ્યા છે. બે દિવસ અગાઉ કુરેશી પરિવારના ૭ સદસ્યો કોરોના પોઝીટીવ આવ્યા હતા ત્યારે આજરોજ વધુ બે દર્દીઓ સામે આવ્યા છે જેમાં એક અફૌદ્દીન કાઝી (ઉ.વ.૨૮, રહે.કસ્બા વિસ્તાર, દાહોદ) આ યુવક બાન્દ્રા મુંબઈથી ૪મી મે પ્રાથમીક માહિતી મુજબ આંતરરાજ્ય પાસ સાથે દાહોદ આવ્યો હતો.
તેને કોરેન્ટાઈન કરી દેવામાં આવ્યો હતો. આ અફૌદ્દીનનો કોરોના રિપોર્ટ આજે પોઝીટીવ આવ્યા હતો. બીજા એક કોરોના પોઝીટીવ કેસ ગરબાડા તાલુકાના નેલસુર ગામ આવવા પામ્યો છે. મળતી માહિતી મુજબ નેલસુર ગામની ૨૦ વર્ષીય યુવતી ગીતાબેન ભુરીયા ગત તા.૨૬ મી એપ્રિલના રોજ કોઈક છોકરા જાડે ભાગી ગઈ હતી અને તેને કસ્ટડીમાં લાવ્યા બાદ તેનું થર્મલ સ્ક્રીનીંગ કરવામાં આવ્યું હતુ.
આ સ્ક્રીનીંગ દરમ્યાન તેમાં કોરોનાના લક્ષણો જણાતા તેને પણ કોરેન્ટાઈન કરાઈ હતી અને આજરોજ તેનો પણ કોરોના રિપોર્ટ પોઝીટીવ આવ્યો હતો. આરોગ્યતંત્ર તેમજ વહિવટીતંત્ર દ્વારા ઉપરોક્ત બંને કોરોના ગ્રસ્ત વ્યક્તિઓની ટ્રાવેલ હિસ્ટ્રીઓ તેમજ આ બંને લોકો કેટલા લોકોના સંપર્કમાં આવ્યા તેઓની ઝીણવટભરી તપાસ હાથ ધરી છે. દાહોદમાં અત્યાર સુધીમાં કુલ કોરોના પોઝીટીવના ૧૩ કેસો નોંધાવા પામ્યા છે. જે પૈકી ચાર લોકો કોરોના મુક્ત થતા તેઓને રજા આપી દેવામાં આવી છે. ત્યારે હાલ કુરેશી પરિવારના કોરોના સંક્રમિત સાત લોકો તેમજ આજરોજ વધુ બે કેસો મળી કુલ ૯ કોરોના સંક્રમિત દર્દીઓ સારવાર હેઠળ મુકવામાં આવ્યા છે.