દાહોદ જીલ્લામાંથી પગપાળા જતાં શ્રમિકોને કલેક્ટરે નાસ્તો કરાવી વતનમાં જવા માટે બસોની વ્યવસ્થા કરાવી માનવતાનું ઉત્તમ ઉદાહરણ પુરુ પાડ્યું

સમગ્ર દેશ અને રાજય મા લોકડાઉન અમલી બનતા દાહોદ જીલ્લાના અને રાજસ્થાન અને મધ્યપ્રદેશ માથી રોજગાર માટે ગુજરાત ના અન્ય જિલ્લાના મજુરી માટે ગયેલા શ્રમિકો પગપાળા પરત આવી રહ્યા હોવાની બાબત ધ્યાને આવતા જ જિલ્લા પ્રશાસન દ્વારા આવા શ્રમિકો માટે વાહનોની વ્યવસ્થા કરવામાં આવી હતી. જેમાં કેટલાક લોકોને ખાનગી વાહનો મારફતે તેમના વતન પહોંચતા કરવામાં આવ્યા હતા. 

દાહોદ એસટી ડેપોમાં અમદાવાદથી પાંચ, વડોદરાથી બે બસો આવી હતી. આમ, પ્રશાસન સાથે સંકલનમાં રહેલી એસટી નિગમે ફસાયેલા લોકોને પોતાના વતન સુધી પહોંચવામાં મદદ કરી હતી. બુધવારની રાતે જિલ્લા પોલીસ તંત્રને પગપાળા પ્રવાસીઓ અંગે માહિતી મળતાની સાથે એસપી શ્રી હિતેશ જોયસર, ટાઉન પીઆઇ શ્રી વસંત પટેલ અહીંની ગરબાડા ચોકડી ખાતે પહોંચી ગયા હતા અને પ્રવાસીઓ માટે ખાનગી બસની વ્યવસ્થા કરી આપી હતી.
દાહોદથી ઝાલોદ તરફ જતા પ્રવાસીઓ માટે કલેક્ટર શ્રી વિજય ખરાડીની સૂચનાથી નાસ્તાની વ્યવસ્થા કરવામાં આવી હતી. જેમાં નાયબ મામલતદાર શ્રી દીપક મોદી તથા શ્રી અનિલ મેડા સહિતના મહેસુલી કર્મચારીઓ ગુરવારના સવારના ઝાલોદ રોડ ઉપર આવતા શ્રમિકોને બિસ્કીટ, કેળાનો નાસ્તો કરાવ્યો હતો. આ લોકો માટે ઝાલોદ સુધી એસટી બસની વ્યવસ્થા કરવાની સૂચના આપવામાં આવી છે. સંકટની આ ઘડીમાં માનવતાના સાદને કેટલીક સેવા સંસ્થાઓએ ઝીલી લીધો છે. જિલ્લા વહીવટી તંત્રના સંકલનમાં રહી ટીફિન સેવાનું આયોજન ઘડી કાઢવામાં આવી રહ્યું હોવાનું જીલ્લા કલેક્ટર વિજય ખરાડીએ જણાવ્યું હતું.