દાહોદ: દુકાનનું તાળું તોડી રૂ. ૧.૧૮ લાખના દાગીનાની ચોરી

દાહોદ, દાહોદ જિલ્લાના ઝાલોદ નગરમાં તસ્કરોનો ત્રાસ દિનપ્રતિદિન વધી રહ્યો છે. ઝાલોદ નગરમાં ફરીવાર તસ્કરોએ એક દુકાનને નિશાન બનાવી દુકાનમાંથી સોના-ચાંદીના દાગીના મળી કુલ રૂા. ૧ લાખ ૧૮ હજારની મત્તાનો હાથફેરો કરી નાસી જતાં પંથકમાં ચકચારની સાથે ફફડાટ ફેલાઈ જવા પામ્યો છે. બે દિવસ અગાઉ તસ્કરોએ એક બંધ રહેણાંક મકાનમાંથી પણ રોકડા રૂપિયા અને સોના-ચાંદીના ઘરેણાંની ચોરી કરી હતી.
ઝાલોદ નગરમાં આવેલા શિવમ પેટ્રોલપંપની સામે બ્રિજેશભાઈ ભરતભાઈ પ્રજાપતિ (રહે. ઝાલોદ,તા.જિ.દાહોદ)ની દુકાનમાં રાત્રીના કોઈપણ સમયે તસ્કરોએ તાળુ તોડી પ્રવેશ કર્યો હતો. દુકાનમાંથી છડા, બંગડીઓ, મંગળસુત્રો, કંઠીઓ, વીંટીઓ, વિંછુડી વગેરે મળી કુલ રૂા. ૧ લાખ ૧૮ હજારના દાગીનાની ચોરી કરી અજાણ્યા ચોર ઈસમો નાસી ગયા હતા. જેથી આ સંબંધે બ્રિજેશભાઈ ભરતભાઈ પ્રજાપતિએ ઝાલોદ શહેર પોલીસ મથકે ફરિયાદ નોંધાવતાં પોલીસે ગુનો નોંધી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.HS