દિલ્હીથી દોહા જતી ફ્લાઈટ પાકિસ્તાન તરફ ડાયવર્ટ
નવી દિલ્હી, ૧૦૦ થી વધુ મુસાફરોને લઈને દિલ્હીથી દોહા જતી કતાર એરવેઝની ફ્લાઇટ સોમવારે પાકિસ્તાન ડાયવર્ટ કરવામાં આવી હતી. આ ફ્લાઈટના આકસ્મિક રસ્તા બદલવા અંગે અનેક તર્ક વિતર્ક લગાવવામાં આવ્યા છે.
સૌથી ચોંકાવનારી વાત એ છે કે, ફ્લાઈટને કરાચી એરપોર્ટ પર ઈમરજન્સી લેન્ડિંગ કરાવવામાં આવ્યું છે.આ અહેવાલ બાદ અનેક ભારતીયોના જીત તાળવે ચોંટાયા હતા. અંદાજે ૧૦૦થી વધુ મુસાફરો આ ફ્લાઈટમાં હતા.
ફ્લાઇટ -ક્યુઆર૫૭૯ – દિલ્હીથી દોહા જઈ રહી હતી, ફ્લાઇટ સોમવારે સવારે ૩.૫૦ વાગ્યે દિલ્હીથી ઉડાન ભરી અને સવારે ૫.૩૦ વાગ્યે કરાચીમાં લેન્ડ થઈ હતી.
હવામાં જ તેના કાર્ગો હોલ્ડમાં ધુમાડા જેવુ દેખાઇ રહ્યું હતુ તેથી ટેક્નિકલ કારણોસર ઈમરજન્સી લેન્ડિંગ જાહેર કરવામાં આવી હતી, જે બાદ કતાર એરવેઝની ફ્લાઇટને એર ટ્રાફિક કંટ્રોલે કરાચી એરપોર્ટ તરફ વાળ્યું હતુ.
હાલ પ્લેન સુરક્ષિત રીતે લેન્ડ થઇ ગયુ છે. મુસાફરોને આ ફ્લાઈટથી નીચે ઉતારવામાં આવતા તેઓ કરાચી એરપોર્ટ જાેઈને ચોંકી ઉઠ્યા હતા. એરલાઇને મુસાફરોને પડેલી અસુવિધા માટે માંફી માંગી હતી, અને જણાવ્યુ કે, આ બાબતે તેમના તરફથી તપાસના આદેશ આપવામાં આવ્યા છે. મુસાફરોને દોહા લઇ જવા માટે બીજી પ્લેનની વ્યવસ્થા પણ કરવામાં આવી છે.
જાેકે અનેક મુસાફરોએ કરાચી એરપોર્ટ પર કંપની કે સત્તાધીશો તરફથી કોઈ સરખો જવાબ ન આપવાની અને ફ્લાઈટમાં પાણી અને જમવા કે નાસ્તાની સુવિધા પણ ન અપાતા કંપનીને સોશિયલ મીડિયા પર ફટકાર લગાવી છે.
આ સિવાય દોહા એરપોર્ટથી આગળની અનેક મુસાફરોની કનેક્ટિંગ ફ્લાઈટ પણ હતી જે હવે કેન્સલ કરવાથી થયેલ નુકશાન મુદ્દે પણ મુસાફરો ગુસ્સે ભરાયા છે.SSS