દિલ્હી એમસીડી પેટાચૂંટણીમાં આપનો ચોગ્ગો,પાંચમાંથી ચારમાં જીત હાંસલ

નવીદિલ્હી: દિલ્હી મ્યુનિસિપલ કોર્પોરેશન (એમસીડી)ના ૫ વોર્ડની પેટાચૂંટણીના પરિણામો આવ્યા છે. આ વોર્ડ ૬૨ એન(શાલીમાર બાગ ઉત્તર), ૮ ઇ (કલ્યાણપુરી), ૨-ઈ (ત્રિલોકપુરી), ૩૨એન (રોહિણી-સી) અને ૪૧-ઈ (ચૌહાણ બાંગડ) છે. તેમાંથી ૪ વોર્ડમાં આપના ઉમેદવારો વિજેતા થયા છે. માત્ર એક જ વોર્ડ (ચૌહાણ બાંગડ) કોંગ્રેસના ખાતામાં ગયો છે, જ્યારે ભાજપ તો પોતાનું ખાતું પણ ખોલી શક્યું નથી.
કલ્યાણપુરીથી આપઁના ધીરેન્દ્ર કુમારે ૭,૨૫૯ મતોથી જીત મેળવી છે, તેમનો મુકાબલો ભાજપના સિયારામ સામે હતો. શાલીમાર બાગ ઉત્તરથી આપની સુનિતા મિશ્રા ૨,૭૦૫ મતોથી વિજયી થઈ. ફ્ક્ત એક જ વોર્ડ ચૌહાણ બાંગડથી કોંગ્રેસના ઝુબૈર અહેમદ જીત્યા છે. તેમણે આપઁના ઇશરાક ખાનને ૧૦,૬૪૨ મતોથી હરાવ્યા છે. ત્રિલોકપુરીમાં આપના વિજય કુમારે ભાજપના ઓમપ્રકાશને ૪,૯૮૬ મતોથી પરાજિત કર્યા છે. જ્યારે, રોહિણી-સી થી આપના રામચંદ્રએ ભાજપના રાકેશ ગોયલને ૨,૯૮૫ મતોથી હરાવ્યા છે.
પેટાચૂંટણીમાં જીત મુદ્દે દિલ્હીના નાયબ મુખ્યમંત્રી મનીષ સિસોદિયાએ આપના કાર્યકરોને અભિનંદન આપ્યા હતા. તેમણે સોશિયલ મીડિયા પર લખ્યું- ભાજપના શાસનથી દિલ્હીની જનતા હવે દુખી થઈ ચૂકી છે. આગામી વર્ષે યોજાનાર એમસીડી ચુંટણીમાં જનતા અરવિંદ કેજરીવાલજીની ઈમાનદારી અને કામ કરનારી રાજનીતિને લઈને જ આવશે.