દિલ્હી તોફાનો મામલે સોનિયા, રાહુલ અને પ્રિયંકાને નોટિસ
નવી દિલ્હી, દિલ્હી હાઈકોર્ટે દિલ્હી તોફાનો મામલે અનેક મોટી રાજકીય હસ્તિઓને નોટિસ મોકલી છે. તેમાં સવાલ કરવામાં આવ્યો છે કે, આ કેસમાં પક્ષકાર તરીકે તેમના પર કેસ શા માટે ન ચલાવવામાં આવે. કોર્ટે આ મામલે કોંગ્રેસ અધ્યક્ષ સોનિયા ગાંધી, સાંસદ રાહુલ ગાંધી અને પ્રિયંકા ગાંધીને નોટિસ મોકલી છે. તે સિવાય દિલ્હી હાઈકોર્ટે આવી જ નોટિસ કેન્દ્રીય મંત્રી અનુરાગ ઠાકુર, બીજેપી નેતા કપિલ મિશ્રા, બીજેપી સાંસદ પરવેશ વર્માને પણ મોકલી છે. હાઈકોર્ટે ૦૪ માર્ચ, ૨૦૨૨ સુધીમાં આ મામલે સૌનો જવાબ માગ્યો છે.
ઉલ્લેખનીય છે કે, દિલ્હી હાઈકોર્ટમાં એક અરજી દાખલ થઈ હતી. તેમાં તોફાનો ભડકાવવામાં કથિત ભૂમિકાને લઈ રાજનેતાઓ સહિત અનેક લોકો વિરૂદ્ધ એફઆઈઆર દાખલ કરવાની માગણી કરવામાં આવી હતી.
હાઈકોર્ટે પાછલી સુનાવણીમાં કહ્યું હતું કે, શું તેઓ એજ લોકો છે જેમના વિરૂદ્ધ આરોપો લગાવવામાં આવ્યા છે, શું તે લોકો જ આ મામલે પક્ષકાર છે? શું અમે વાસ્તવમાં તેમની વાત સાંભળ્યા વગર તેમની ધરપકડ કરવાની તમારી અરજી પર આગળ વધી શકીએ છીએ?
નોર્થ ઈસ્ટ દિલ્હીમાં થયેલા તોફાનોને ૨ વર્ષ થઈ ગયા છે. નોર્થ ઈસ્ટ દિલ્હીમાં વર્ષ ૨૦૨૦માં ૨૩ ફેબ્રુઆરીથી ૨૬મી ફેબ્રુઆરી દરમિયાન કેન્દ્ર સરકારના સીએએના વિરોધમાં તોફાનો થયા હતા. તેમાં ૫૩ લોકોના મોત થયા હતા અને ૫૮૧ લોકોને ઈજાઓ પહોંચી હતી.
૨૪ અને ૨૫ ફેબ્રુઆરીના રોજ તોફાની તત્વોએ દિલ્હીમાં ભારે રમખાણ મચાવ્યું હતું. આ તોફાનો મામલે કુલ ૭૫૫ એફઆઈઆર દાખલ કરવામાં આવી હતી. તે પૈકીના અમુક કેસ મામલે હાઈકોર્ટ, કડકડડૂમા કોર્ટમાં સુનાવણી પણ થઈ રહી છે. કેટલાક આરોપીઓને કોર્ટમાંથી જામીન પણ મળી ગયા છે.SSS