દિલ્હી, મુંબઈ, કોલકાતાના અનેક બ્રોકર્સને ત્યાં દરોડા
નવી દિલ્હી, સીબીઆઈ દ્વારા દિલ્હી, મુંબઈ અને કોલકાતા ખાતે અનેક બ્રોકર્સના ત્યાં દરોડા પાડવામાં આવ્યા છે. આ બોર્કર્સ દ્વારા એનએસઈની કો લોકેશન સુવિધાનો કથિત દુરૂપયોગ કરવામાં આવતો હોવાની માહિતીના પગલે આ પ્રકારે દરોડા પાડવામાં આવ્યા છે. કેન્દ્રીય તપાસ એજન્સીએ એનએસઈ કો-લોકેશન કૌભાંડ મામલે આજે એક મોટી કાર્યવાહી હાથ ધરી છે.
એક અહેવાલ પ્રમાણે એજન્સીના અધિકારીઓએ દિલ્હી, મુંબઈ, કોલકાતા, ગાંધીનગર, નોએડા અને ગુરૂગ્રામ ખાતે ૧૦થી વધારે સ્થળોએ સર્ચ ઓપરેશન હાથ ધર્યું છે. આ તમામ સ્થળો આ કેસ સાથે સંબંધીત બ્રોકર્સ સાથે સંકળાયેલા છે.
એનએસઈના પૂર્વ વડા અને હાલ જેલમાં છે તે ચિત્રા રામકૃષ્ણ સાથે આ કેસ જાેડાયેલો હોય એવી શક્યતા છે. ચિત્રા સામે કો લોકેશન કેસમાં બ્રોકરને મદદગારી કરવાનો આરોપ છે.
ઉલ્લેખનીય છે કે, ગયા મહિને ઈડીએ નવી દિલ્હી અને ગુરૂગ્રામમાં નવ જેટલા સ્થળોએ કો લોકેશન કેસ મામલે દરોડા પાડ્યા હતા. નેશનલ સ્ટોક એક્સચેન્જ કો-લોકેશન કેસમાં વર્ષ ૨૦૧૮માં એફઆઈઆર દાખલ થઈ હતી.
હકીકતે શેરના ખરીદ-વેચાણ માટેના કેન્દ્ર એવા દેશના પ્રમુખ નેશનલ સ્ટોક એક્સચેન્જના કેટલાક બ્રોકર્સને એવી સુવિધા આપવામાં આવી હતી કે, જેથી તેમને અન્યની સરખામણીએ થોડી વહેલી શેરની કિંમતોની ખબર પડી જતી હતી. તેનો ફાયદો લઈને તેઓ ભારે નફો કમાઈ રહ્યા હતા.
તેના લીધે એનએસઈના ડિમ્યુચ્યુલાઈઝેશન અને પારદર્શિતા આધારીત માળખાનું ઉલ્લંઘન થઈ રહ્યું હતું. અંદરના લોકોએ ગોલમાલ કરીને તે બ્રોકર્સને સર્વર કો-લોકેટ કરીને સીધી એક્સેસ આપી દીધી હતી.ss2kp