દેશમાં કોરોનાથી અત્યાર સુધીમાં 5 લાખ લોકો મોતને ભેટ્યા
નવી દિલ્હી, ભારતમાં કોરોનાથી મૃત્યુ પામનાર લોકોની સંખ્યા 5 લાખને પાર થઈ ગઈ છે. દુનિયાભરમાં કોરોનાથી અત્યાર સુધીમાં મૃત્યુઆંક મુદ્દા ભારત ત્રીજા નંબર પર છે. 9.1 લાખ મૃત્યુ સાથે અમેરિકા પ્રથમ નંબર પર અને બીજા નંબર પર બ્રાઝિલ (6.3 લાખ મોત) છે.
રશિયા આ યાદીમાં ચોથા નંબર પર છે. ત્યા અત્યાર સુધીમાં 3.33 લાખ લોકોએ કોરોનાને કારણે જીવ ગુમાવ્યા છે.
વર્લ્ડોમીટર્સ અનુસાર, છેલ્લા 24 કલાકમાં ભારતમાં 1,100 મૃત્યુ થયા છે, જે પછી મૃત્યુઆંક 5 લાખ 87 પર પહોંચી ગયો છે. ભારતમાં અત્યાર સુધીમાં 40,005,514 લોકો કોરોનાથી સ્વસ્થ થયા છે. ભારતમાં અત્યાર સુધીમાં 4.19 કરોડ લોકો કોરોનાથી સંક્રમિત થઈ ચુક્યા છે. હાલમાં 14.35 લાખ દર્દીઓ સારવાર લઈ રહ્યા છે.
દેશમાં કોરોનાથી મૃત્યુનો પહેલો કેસ 12 માર્ચ 2020ના રોજ આવ્યો હતો. 2 ઓક્ટોબર 2020ના રોજ દેશમાં કોરોનાને કારણે 1 લાખ લોકોએ જીવ ગુમાવ્યા હતા. કોરોનાની પ્રથમ લહેરમાં 1.55 લાખ લોકોએ જીવ ગુમાવ્યા હતા. આ લહેરમાં મે 2020 થી જાન્યુઆરી 2021 સુધી ચાલી હતી.
કોરોનાના બીજી લહેર દરમિયાન સૌથી વધુ લોકોના મોત થયા હતા. ભારત કોરોનાની બીજી લહેરની લગભગ 11 મહીના સુધી અસર રહી હતી. આ દરમિયાન 3.24 લાખ લોકો મોતને ભેટ્યા હતા. બીજી લહેરની પીક પર એક જ દિવસમાં 4 હજાર લોકોના મોત થયા હતા.
બીજી લહેરની સરખામણીમાં ત્રીજી લહેર ઓછી ભયાનક રહી છે. જાન્યુઆરીમાં શરૂ થયેલા આ લહેરમાં અત્યાર સુધીમાં માત્ર 11,600 દર્દીઓએ જીવ ગુમાવ્યો છે. આ સંદર્ભમાં એમ કહી શકાય કે ભારતમાં કોરોનાથી મૃત્યુઆંકની ગતિ પહેલાની સરખામણીમાં ધીમી પડી છે.