Western Times News

Gujarati News

દેશમાં કોરોનાના ૪,૩૦૨ એક્ટિવ કેસ, જાન્યુઆરીથી અત્યાર સુધી ૪૪ લોકોનાં મોત

કોરોનાના કેસમાં વધારો થતાં આરોગ્ય મંત્રાલયે રાજ્યોને ઓક્સિજન, બેડની વ્યવસ્થા કરવાનો આદેશ આપ્યો

નવી દિલ્હી,
ભારતમાં કોરોનાના કેસ સતત વધી રહ્યા છે. આને ધ્યાનમાં રાખીને આરોગ્ય મંત્રાલયે તમામ રાજ્યોને જરૂરી તૈયારીઓ કરવા જણાવ્યું છે. જેમાં ઓક્સિજન, આઇસોલેશન બેડ, વેન્ટિલેટર અને આવશ્યક દવાઓની ઉપલબ્ધતા સુનિશ્ચિત કરવાનો સમાવેશ થાય છે. ૨ અને ૩ જૂનના રોજ આરોગ્ય સેવાઓના મહાનિર્દેશક (DGHS) ડૉ. સુનિતા શર્માની અધ્યક્ષતામાં શ્રેણીબદ્ધ ટેકનિકલ સમીક્ષા બેઠકો યોજાઈ હતી. આ બેઠકોમાં તમામ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોના પ્રતિનિધિઓ સાથે ડિઝાસ્ટર મેનેજમેન્ટ સેલ, ઇમરજન્સી મેનેજમેન્ટ રિસ્પોન્સ (EMR), નેશનલ સેન્ટર ફોર ડિસીઝ કંટ્રોલ (NCDC), ઇન્ડિયન કાઉન્સિલ ઓફ મેડિકલ રિસર્ચ (ICMR), ઇન્ટિગ્રેટેડ ડિસીઝ સર્વેલન્સ પ્રોગ્રામ (IDSP) અને દિલ્હીમાં કેન્દ્ર સરકારની હોસ્પિટલોના પ્રતિનિધિઓએ હાજરી આપી હતી.

IDSP હેઠળ રાજ્ય અને જિલ્લા સ્તરની સર્વેલન્સ ટીમો ઈન્ફલ્યુએન્ઝા જેવા લક્ષણો અને ગંભીર તીવ્ર શ્વસન ચેપ (SARI) પર નજીકથી નજર રાખી રહી છે. એક સત્તાવાર સૂત્રએ જણાવ્યું હતું કે માર્ગદર્શિકા મુજબ, દાખલ થયેલા તમામ SARI દર્દીઓનું પરીક્ષણ કરવું ફરજિયાત છે. આ ઉપરાંત, SARI પોઝિટિવ નમૂનાઓ જીનોમ સિક્વન્સિંગ માટે ICMRના VRDLનેટવર્કને મોકલવામાં આવી રહ્યા છે.૪ જૂન સુધીમાં, દેશમાં કોરોનાના કુલ ૪૩૦૨ સક્રિય કેસ નોંધાયા હતા, જેમાં છેલ્લા ૨૪ કલાકમાં ૮૬૪ નવા કેસનો સમાવેશ થાય છે. અધિકારીઓના જણાવ્યા અનુસાર મોટાભાગના કેસોમાં હળવા લક્ષણો છે અને દર્દીઓને ઘરે સારવાર આપવામાં આવી રહી છે.૧ જાન્યુઆરીથી અત્યાર સુધીમાં ૪૪ લોકોના મોત થયા છે, જેમાંથી મોટાભાગના લોકો પહેલાથી જ કોઈ ગંભીર બીમારીથી પીડાતા હતા. સૂત્રોએ જણાવ્યું કે, તમામ રાજ્યોને ઓક્સિજન, આઇસોલેશન બેડ, વેન્ટિલેટર અને આવશ્યક દવાઓની ઉપલબ્ધતા સુનિશ્ચિત કરવા સૂચના આપવામાં આવી છે. SS1


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.