દેશમાં છેલ્લા ૨૪ કલાકમાં કોરોનાના ૫૮ હજારથી વધુ કેસ નોંધાયા, ૬૫૭ લોકોના મૃત્યુ

નવીદિલ્હી, દેશમાં જીવલેણ કોરોના વાયરસના કેસમાં સતત ઘટાડો થઈ રહ્યો છે. દેશમાં છેલ્લા ૨૪ કલાકમાં ૫૮ હજાર ૭૭ નવા કેસ સામે આવ્યા છે અને ૬૫૭ લોકોના મૃત્યુ થયા છે. ગુરૂવારની તુલનામાં આજે ૧૩.૪ ટકા ઓછા કેસ નોંધાયા છે. જાણો દેશમાં કોરોનાની વર્તમાન સ્થિતિ શું છે.
કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલય તરફથી આપેલી માહિતી પ્રમાણે દેશમાં હવે એક્ટિવ કેસની સંખ્યા ઘટીને ૬ લાખ ૯૭ હજાર ૮૦૨ થઈ ગઈ છે. તો આ મહામારીથી જીવ ગુમાવનારની સંખ્યા વધીને ૫ લાખ ૭ હજાર ૧૭૭ થઈ ગઈ છે. આંકડા પ્રમાણે અત્યાર સુધી ૪ કરોડ ૧૩ લાખ ૩૧ હજાર ૧૫૮ લોકો સંક્રમણથી મુક્ત થઈ ગયા છે.
કેરલમાં કોવિડ-૧૯ના ૧૮૪૨૦ નવા કેસ સામે આવ્યા છે, ત્યારબાદ સંક્રમિતોની સંખ્યા વધીને ૬૩,૬૫,૦૫૧ થઈ ગઈ છે. આ પહેલાં કેરલમાં બુધવારે કોરોના વાયરસના ૨૩૨૫૩ કેસ સામે આવ્યા હતા. કેરલના સ્વાસ્થ્ય વિભાગે જણાવ્યું કે, રાજ્યમાં ૩૪૧ દર્દીના મૃત્યુ થયા છે. ત્યારબાદ મૃત્યુઆંક વધીને ૬૧૧૩૪ થઈ ગયો છે.
રાષ્ટ્રવ્યાપી રસીકરણ ઝુંબેશ હેઠળ અત્યાર સુધી કોરોના વાયરસ વિરોધી રસીના આશરે ૧૭૨ કરોડ ડોઝ આપવામાં આવી ચુક્યા છે. કાલે ૪૮ લાખ ૧૮ હજાર ૮૬૭ ડોઝ આપવામાં આવ્યા છે, ત્યારબાદ દેશમાં અત્યાર સુધી ૧૭૨ કરોડ ૭૯ લાખ ૫૧ હજાર ૪૩૨ રસીના ડોઝ આપવામાં આવી ચુક્યા છે.
કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયે જણાવ્યું કે સ્વાસ્થ્ય કર્મીઓ, કોરોના યોદ્ધાઓ અને ૬૦ વર્ષથી મોટી ઉંમરના ૧.૬૪ કરોડથી વધુ લોકોને (૧,૬૪,૬૧,૨૩૧) પ્રિકોશન ડોઝ લગાવવામાં આવ્યો છે. ભારતમાં સ્વાસ્થ્યકર્મીઓ, કોરોના યોદ્ધાઓ અને વરિષ્ઠ નાગરિકોને બૂસ્ટર ડોઝ આપવાની શરૂઆત ૧૦ જાન્યુઆરીથી થઈ હતી.HS