દેશમાં પાંચ શહેરોનાં નામ રાક્ષસો પરથી રખાયા છે

Files Photo
તિરુચિરાપલ્લી, પલવલ, મૈસૂર, જાલંધર, ગયા આ પાંચ શહેરોનાં નામ રાક્ષસોના નામ પરથી પાડવામાં આવ્યા
મુંબઈ: આપણા દેશમાં મોટાભાગના શહેરો, રસ્તાઓ અને જગ્યાઓના નામ કોઈ મહાપુરુષ, ક્રાંતિકારીઓ, રાજનેતાઓ અને શહીદોના નામ પર રાખવામાં આવે છે. ઈશ્વરના નામે તમે અનેક જગ્યાઓના નામ જાેયા હશે કે સાંભળ્યા હશે. પરંતુ અમે તમને એવા શહેરના નામ બતાવીશું જેમના નામ પ્રાચીન કાળમાં રાક્ષસો પર રાખવામાં આવ્યા છે. તમિલનાડુનું શહેર તિરુચિરાપલ્લીનું નામ થિરિસિરન રાક્ષસના નામ પરથી પડ્યું છે.
કહેવામાં આવે છે કે આ શહેરમાં થિરિસિરન રાક્ષસે ભગવાન શિવની તપસ્યા કરી હતી. આ કારણે આ શહેરનું નામ થિરિ-સિકરપુરમ પડ્યું. જે પછી થિરિસિરપુરમ થયું અને હવે તિરુચિરાપલ્લીના નામથી ઓળખવામાં આવે છે. પલવલ હરિયાણાનું એક મુખ્ય શહેર છે. તેનું નામ પલંબાસુર રાક્ષસના નામ પરથી પડ્યું છે. પ્રાચીન કાળમાં આ શહેરને પલંબરપુર પણ કહેવામાં આવતું હતું. સમયની સાથે તેનું નામ બદલાઈને પલવલ થઈ ગયું.
મૈસૂર કર્ણાટકનું એક ઐતિહાસિક શહેર છે. તેનું નામ મહિષાસુર રાક્ષસના નામ પરથી પડ્યું છે. મહિષાસુરના સમયે તેને મહિષા-ઉરુ કહેવામાં આવતું હતું. પછી મહિષુરુ અને તેના પછી કન્નડમાં તેને મૈસુરુ કહેવામાં આવ્યું. જે હવે મૈસૂરના નામથી ઓળખવામાં આવે છે. પંજાબના શહેર જાલંધરનું નામ જલંધર નામના રાક્ષસના નામ પરથી પડ્યું છે. પ્રાચીન કાળમાં આ શહેર જલંધર રાક્ષસની રાજધાની હોવાનું મનાય છે.
બિહારના ગયા શહેરનું નામ ગયાસુરના રાક્ષસના નામ પરથી પડ્યું છે. માન્યતા પ્રમાણે જ્યારે અસુર સ્વર્ગ પહોંચવા લાગ્યા ત્યારે તેમને રોકવા માટે ભગવાન નારાયણે બ્રહ્માજી દ્વારા યજ્ઞ માટે ગયાસુર પાસેથી તેનું શરીર માગી લીધું. કહેવાય છે કે આખું ગયા શહેર આ રાક્ષસના પાંચ કોસનું શરીર છે.