ધર્માંતરણ કેસમાં વધુ 4 આરોપીની ધરપકડ : ૧૪ દિવસના રિમાન્ડ પર

આમોદના કાંકરિયા ધર્માંતરણ કેસમાં વધુ ચાર આરોપીની ધરપકડ : ૧૪ દિવસના રિમાન્ડની તજવીજ હાથ ધરાઈ.
હિન્દૂ આદિવાસીઓને લોભ,લાલચ, પ્રલોભનો આપી ૧૫૦ લોકોના ધર્મ પરિવર્તનમાં ધરપકડનો આંક ૧૪ ઉપર પહોંચ્યો : નવા જીલ્લા પોલીસવડા ડૉ.લિના પાટીલે ચાર્જ સંભાળ્યા બાદ સપાટો બોલાવ્યો.
(વિરલ રાણા) ભરૂચ,આમોદ તાલુકાના કાંકરિયા ગામે ૧૫૦ લોકોના ધર્માંતરણ કેસમાં તપાસ ટીમોએ વધુ ચાર આરોપીઓની ધરપકડ કરી છે.આ સાથે જ આદિવાસી હિન્દુઓના ધર્માંતરણમાં ઝડપાયેલા આરોપીઓનો આંક ૧૪ ઉપર પહોંચ્યો છે.
ભરૂચ જીલ્લાના આમોદ તાલુકાના કાંકરિયા ગામે ૧૫૦ આદિવાસીઓના ધર્માંતરણમાં ભરૂચ એસ.ઓ.જી પોલીસે વધુ ચાર આરોપીઓને ઝડપી પાડતા વધુ ચોંકાવનારા ઘટસ્ફોટ સામે આવ્યા છે.જેઓની વધુ તપાસ માટે કોર્ટમાં રજૂ કરી ૧૪ દિવસના રિમાન્ડ મેળવવા ભરૂચ પોલીસે તજવીજ હાથધરી છે.
ભરૂચ જીલ્લા પોલીસવડા ડો.લિના પાટીલે પત્રકાર પરિષદમાં જણાવ્યું હતું કે વોન્ટેડ ચાર આરોપીઓ અબ્દુલ સમદ દાઉદ પટેલ (બેકરીવાલા), શાબિર ઉર્ફે શબ્બીર દાઉદ પટેલ, હસન ઈસા ઈબ્રાહિમ પટેલ ટીસલી અને ઈસ્માઈલ યાકુબ મુસા પટેલ ડેલાવાલા તમામ રહે આમોદને ઝડપી લેવાયા છે.
જેઓના ૧૪ દિવસના રિમાન્ડ મેળવવા કાર્યવાહી હાથ ધરાઈ છે.અગાઉ ઝડપાયેલા ૧૦ આરોપીઓએ મુકેલી જામીન અરજી કોર્ટે રદ્દ કરતા તકમામ હાલ જ્યુડિશિયલ કસ્ટડીમાં છે.ભરૂચ જીલ્લા પોલીસવડા ડો.લિના પાટીલે ચાર્જ સંભાળ્યાના ૨૩ દિવસમાં જ સૌપ્રથમ પોલીસ ખાતામાં જ વહીવટી સહિતના કારણોસર પોલીસ કર્મચારીઓની મોટા પાયે બદલીઓ કરી હતી.
જેમાં કેટલાક પોલીસ કર્મીઓને હેડકવાટર્સના હવાલે પણ કરાયા હતા.
જે બાદ જુગાર અને પ્રોહીબિશનની ઉપરા છાપરી રેડો કરાવી અસામાજીક પ્રવૃત્તિઓને ડામવા કાર્યવાહી શરૂ કરી હતી.
જે બાદ સુરત-ભરૂચ વચ્ચે ચાર ચેકપોસ્ટ ઉભી કરી દીધી હતી અને હવે અતિ સંવેદનશીલ એવા અને સમાજ તેમજ દેશ માટે ઘાતક ધર્માંતરણ પ્રકરણમાં વોન્ટેડ ચાર આરીપીઓને ઝબ્બે કરી લેવાયા છે.
અત્રે ઉલ્લેખનીય બાબત એ છે કે નવનિયુક્ત જીલ્લા પોલીસવડા ડૉ.લિના પાટીલે ચાર્જ સાંભળતા જ બે નંબરીઓ સહિત પોલીસ સ્ટાફમાં ગભરાટ પ્રસરી જવા પામ્યો છે.ત્યારે આગામી દિવસોમાં ભરૂચ જીલ્લા માં ક્રાઈમ રેટ ઓછો થાય તેમ લાગી રહ્યું છે.