ધાનેરાના ૨૪ વર્ષીય આર્મી જવાનનું ન્યૂમોનિયાથી નિધન
ડીસા, ધાનેરા તાલુકાના મગરાવા ગામના અને કાશ્મીરમાં સેનામાં ફરજ બજાવતાં જવાનનું શુક્રવારે ન્યૂમોનિયાથી નિધન થતાં સમગ્ર જિલ્લામાં શોક છવાયો હતો.
મગરાવા ગામના ભલાભાઇ નારણભાઇ ચૌધરી (ઉં.વ.૨૪) ભારતીય સેનામાં ત્રણ વર્ષ પહેલા ભરતી થયા હતા અને હાલમાં કાશ્મીર ખાતે ફરજ બજાવતા હતા. ત્યારે ભલાભાઇને ૫ ઓક્ટોમ્બરે તાવની અસર જણાતાં ૮ ઓક્ટોમ્બરે બીકાનેર ખાતે આર્મી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. પરંતુ તેમની હાલત વધારે બગડતા આઇસીયુમાં રાખવામાં આવ્યા હતા. જ્યાં ભલાભાઇને ન્યૂમોનિયા હોવાનુ બહાર આવ્યુ હતુ. તેઓએ શુક્રવારે હોસ્પિટલમાં સારવાર દરમિયાન અંતિમ શ્વાસ લીધા હતા.
આ અંગેની જાણ તેમના નાના ભાઇ જે પોલીસમાં ફરજ બજાવે છે તેમને કરાતાં પરીવાર સાથે આર્મી હોસ્પિટલ પહોંચ્યા હોવાના સમાચાર મળ્યા છે. ઉલ્લેખનીય છે કે ભલાભાઇ ચૌધરીના લગ્ન હજુ તો બે માસ અગાઉ વિંછીવાડી ગામે હિનાબેન ચૌધરી સાથે થયા હતા.HS