નટુકાકાએ ભવાઈ, ગુજરાતી રંગભૂમિથી લઈને ટીવી સિરિયલ જગતમાં ડંકો વગાડ્યો

‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’ ફૅમ નટુકાકાનું નિધન
મુંબઈ, ‘તારક મહેતા’ ફૅમ નટુકાકાનું ૭૭ વર્ષની ઉંમરે નિધન, છેલ્લાં એક વર્ષથી કેન્સર હતું. તેમણે આજે એટલે કે ૩ ઓક્ટોબરના રોજ સૂચક હોસ્પિટલમાં સાંજે સાડા પાંચ વાગે અંતિમ શ્વાસ લીધા હતા. ‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’ ફૅમ ૭૭ વર્ષીય નટુકાકા એટલે કે ઘનશ્યાન નાયકને ગયા વર્ષે સપ્ટેમ્બરમાં ગળામાં કેન્સરની ગાંઠ હોવાનું નિદાન થયું હતું.
ભવાઈ, ગુજરાતી રંગભૂમિથી લઈને ટીવી સિરિયલ જગતમાં ઉત્તમ અભિનયથી દર્શકો પર મોટી અસર છોડી જનાર શ્રી ઘનશ્યામ નાયક (નટુકાકા)ના નિધનથી કલાજગતને ખુબજ મોટી ખોટ પડી છે..
એ સમયે નટુકાકા ૧૩ દિવસ હોસ્પિટલમાં રહ્યા હતા અને ઓપરેશનમાં ૮ ગાંઠ બહાર કાઢવામાં આવી હતી. ઓપરેશન બાદ નટુકાકાએ રેડિયેશન તથા કિમોથેરપી લીધી હતી. હાલમાં જ નટુકાકાના દીકરા વિકાસ નાયકે સો.મીડિયામાં કેન્સરે ઊથલો માર્યો હોવાની વાત કરી હતી.
સૂત્રોના જણાવ્યા પ્રમાણે, મહેસાણાથી ઘનશ્યામ નાયકના સંબંધીઓ મુંબઈ જવા રવાના થયા છે. વિકાસ નાયકની સો.મીડિયા પોસ્ટ પ્રમાણે, ગયા સપ્ટેમ્બર મહિનામાં નટુકાકાનું કેન્સરનું ઓપરેશન કરવામાં આવ્યું હતું. ત્યાર બાદ રેડિયેશનના ૩૦ તથા કિમોના પાંચ સેશન લીધા હતા.
ઓક્ટોબર મહિના સુધી નટુકાકાની કેન્સરની સારવાર ચાલી હતી. આ સારવારના છ મહિના બાદ નટુકાકાનો પેટ સ્કેન કરાવવામાં આવ્યો હતો. આ ટેસ્ટમાં નટુકાકાને ગળામાં જ્યાંથી આઠેક ગાંઠો બહાર કાઢી હતી ત્યાં ફરી વાર એકાદ-બે સ્પોટ જાેવા મળ્યા હતા.
આટલું જ નહીં, ફેફસાંમાં પણ એક-બે નવા શંકાસ્પદ સ્પોટ દેખાયા હતા. આ કેન્સરના જ સ્પોટ હોવાનું પછીથી નિદાન થયું હતું અને એ માટે કિમોથેરપી ફરી એકવાર કરવી પડશે, એમ ડૉક્ટર્સે જણાવ્યું હતું.