નાગપુરની હાસ્પિટલમાંથી કોરોના વાયરસના ૫ શંકાસ્પદ દર્દી ભાગી ગયા

નાગપુર, ચીનમાં આશરે ત્રણ મહિના પહેલા દસ્તક દેનારા કોરોના વાયરસે ભારતની મુશ્કેલી વધારી દીધી છે. ભારતમાં કોરોનાથી બે લોકોનાં મોત થયા છે. જ્યારે ૮૨ લોકોને ચેપ લાગ્યો છે. આ દરમિયાન એવા સમાચાર સામે આવ્યા છે કે નાગપુરની એક હાસ્પિટલમાંથી કોરોના વાયરસના પાંચ શંકાસ્પદ દર્દીઓ ફરાર થઈ ગયા છે. મોડી રાત્રે બનેલા આ બનાવ પછી શહેરમાં એલર્ટ જાહેર કરી દેવામાં આવ્યું છે. તમામ દર્દીઓને શોધવાના પ્રયાસો કરવામાં આવી રહ્યા છે.
મળતી માહિતી અનુસાર નાગપુરના ઇન્દિરા ગાંધી ગવર્નમેન્ટ મેડિકલ કાલેજ એન્ડ હાસ્પિટલમાંથી કોરોના વાયરસના પાંચ શંકાસ્પદ દર્દીઓ ભાગી ગયા છે. તમામને કોરોના વાયરસના સંક્રમણ બાદ હાસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. કોરોનાના દર્દીઓ હાસ્પિટલમાંથી ભાગી ગયાના સમાચાર વચ્ચે ઝોનલ ડીસીપી રાહુલ મકનિકરે જણાવ્યું કે, પોલીસને હાઇ અલર્ટ કરી દેવામાં આવી છે. આખા શહેરમાં નાકાબંધી કરી દેવામાં આવી છે. શકમંદોની સ્થિતિ કેવી હતી તેના વિશે કોઈ માહિતી મળી શકી નથી.
મહારાષ્ટ્રમાં કોરોના વાયરસના સંક્રમણના ૧૭ દર્દીઓની પુષ્ટિ થઈ છે. વિશ્વમાં કોરોના વાયરસને કારણે અત્યાર સુધી પાંચ હજારથી વધારે લોકોનાં મોત થઈ ચુક્યા છે. આ વાયરસે દુનિયાના આશરે ૧,૩૪,૩૦૦થી વધારે લોકોને ઝપેટમાં લઈ લીધા છે. ભારતમાં આ વાયરસને પગલે બે લોકોનાં મોત થઈ ચુક્યા છે. અમેરિકાએ કોરોના વાયરસને કારણે ઇમરજન્સી જાહેર કરી દીધી છે.