નિકોલમાં મુક્તિધામ એસ્ટેટમાં કામ કરતા યુવકને ત્રણ શખ્સોએ ચપ્પાના ઘા ઝીંકી મોતને ઘાટ ઉતાર્યાે

પ્રતિકાત્મક
તને બહુ ચરબી ચઢી છે કહીને આ મામલે મૃતકના ભાઈ નિકોલ પોલીસમાં ફરિયાદ નોંધાવતા પોલીસે ત્રણેય વિરુદ્ધ હત્યાનો ગુનો નોંધી વધુ તપાસ આદરી છે
અમદાવાદ,નિકોલમાં મુક્તિધામ એસ્ટેટમાં એમ્બ્રોઇડરીનું કામકાજ કરતા યુવકને રૂપિયાની લેતી દેતીમાં ત્રણ લોકો સાથે બુધવારે રાતે ઝઘડો થયો હતો. યુવકને તને બહુ ચરબી ચઢી છે કહીને ત્રણ આરોપીએ ચાકુના એક કરતા વધુ ઘા ઝીંકી મોતને ઘાટ ઉતારી દીધો હતો. મધ્યપ્રદેશના વતની હાલ નિકોલ વિસ્તારમાં રહેતા કુલદીપસિંહ તોમર (૩૧) ટેક્સી ચલાવે છે અને ભાડાના મકાનમાં પત્ની અને બાળકો તથા ભાઈ વિવેકસિંહ સાથે રહે છે. કુલદીપસિંહનો ભાઈ નિકોલના મુક્તિધામ એસ્ટેટમાં એમ્બ્રોઇડરીના કારખાનામાં નોકરી કરતો હતો.
ગત બુધવારની રાતે કુલદીપસિંહ તેમની ટેક્સી લઈને નિકોલ ખોડિયાર મંદિર પાસે પહોંચ્યા હતા ત્યારે તેમના કાકા અજયવીરનો ફોન આવ્યો અને જણાવ્યું કે મુક્તિધામ એસ્ટેટ પાસે તાત્કાલિક આવી જા, તારા ભાઈ વિવેકને કેટલાક લોકોએ ચાકુના ઘા માર્યા છે. આટલું સાંભળતાની સાથે જ કુલદીપસિંહ પહોંચ્યો અને જોયું તો વિવેકસિંહ લોહીલુહાણ બેભાન હાલતમાં જમીન પર નીચે પડેલો હતો. તાત્કાલીક ૧૦૮ની મદદથી વિવેકસિંહને હોસ્પિટલ સારવાર માટે લઇ જવામાં આવતા ત્યાં ફરજ પરના હાજર ડોક્ટરોએ વિવેકસિંહને મૃત જાહેર કર્યાે હતો. આ મામલે કુલદીપસિંહે તેના ભાઈના મોત અંગે પિતરાઈને પૂછતા જણાવા મળ્યું કે મૃતક વિવેકસિંહ અને પિતરાઈ ભાઈ પંકજ તોમર મુક્તિધામ એસ્ટેટ પાસે બુધવારે રાતે ઊભા હતા.
આ સમયે આકાશ ચૌહાણ, આઝાદ ચૌહાણ અને નીતેશ તોમર આવ્યા હતા અને વિવેકસિંહની સાથે રૂપિયાની લેતી દેતી મામલે ગાળો બોલીને ઝપાઝપી કરવા લાગ્યા હતા. આ દરમિયાન નિતેશે તેની પાસે રહેલું ચપ્પુ કાઢીને વિવેકસિંહને એક બાદ એક બે ઘા મારી દીધા હતા. આ સમયે પંકજ તોમર વચ્ચે પડતા તેને પણ લોખંડની પાઈપના ફટકા માર્યા અને થાપાના ભાગે ચાકુનો એક ઘા મારી દીધો હતો. બૂમાબૂમ થતાં આસપાસના લોકો એકઠા થઇ ગયા જતા ત્રણેય આરોપીઓ નાસી છૂટ્યા હતા. આ મામલે મૃતક વિવેકસિંહના ભાઈ કુલદીપસિંહ નિકોલ પોલીસમાં આકાશ ઉર્ફે સોનુ ચૌહાણ, આઝાદ ચૌહાણ અને નિતેશ ઉર્ફે દિનુ તોમર સામે ફરિયાદ નોંધાવતા પોલીસે ત્રણેય વિરુદ્ધ હત્યાનો ગુનો નોંધી વધુ તપાસ આદરી છે.