નેપાળ, ભારત અને ચીન સાથે ખૂબ જ મૈત્રીપૂર્ણ સંતુલિત સંબંધો સુનિશ્ચિત કરવા માટે કામ કરશે

કાઠમાંડૂ, નેપાળના નવનિયુક્ત વિદેશ મંત્રી નારાયણ ખડકાએ આજે જણાવ્યું હતું કે તેઓ ભારત અને ચીન સાથે મૈત્રીપૂર્ણ અને સંતુલિત સંબંધો બનાવવા અને વિદેશી સંબંધોને લગતી બાબતો પર રાજકીય પક્ષો સાથે રાષ્ટ્રીય સહમતિ બનાવવા તરફ કામ કરશે. રાષ્ટ્રપતિ વિદ્યા દેવી ભંડારીએ વડાપ્રધાન શેર બહાદુર દેઉબાની આગેવાનીવાળી સરકારની ભલામણ પર ખડકાની નિમણૂક કરી હતી.
રાષ્ટ્રપતિએ શીતલ નિવાસ ખાતે સત્તાવાર સમારોહમાં ૭૨ વર્ષીય ખડકાને પદ અને ગુપ્તતાના શપથ લેવડાવ્યા હતા. આજે ચાર્જ સંભાળ્યા બાદ પત્રકારો સાથે વાત કરતા વિદેશ મંત્રીએ કહ્યું કે તેઓ તેમના બે પાડોશી દેશો ભારત અને ચીન સાથે ખૂબ જ મૈત્રીપૂર્ણ, સુલભ અને સંતુલિત સંબંધો સુનિશ્ચિત કરવા માટે કામ કરશે.
એક અહેવાલ પ્રમાણે વિદેશ મંત્રીએ કહ્યું હતું કે દેશની વિદેશ નીતિ કોઈ ચોક્કસ રાજકીય પક્ષની નથી અને તે વિદેશી સંબંધોને લગતી બાબતો પર અન્ય રાજકીય પક્ષો સાથે રાષ્ટ્રીય સહમતિ બનાવવાની દિશામાં કામ કરશે.
નોંધપાત્ર બાબત એ છે કે મંગળવારે સાંજે બાલુવતારમાં દેઉબાના નિવાસસ્થાને શાસક પક્ષના ગઠબંધનના ટોચના નેતાઓની બેઠકમાં વડાપ્રધાને ખડકાના નામ નેપાળના નવા વિદેશ મંત્રી તરીકે પ્રસ્તાવિત કર્યા હતા. ખડકાએ પુણેની એક યુનિવર્સિટીમાંથી અર્થશાસ્ત્રમાં પીએચડી કર્યું છે. અત્યાર સુધી વિદેશ મંત્રીનો ચાર્જ વડાપ્રધાન પાસે હતો.
દેઉબાના નેતૃત્વમાં નવી સરકાર રચાયાને બે મહિનાથી વધુ સમય બાદ પણ વિદેશ મંત્રીનું પદ ખાલી હતું. ખડકાની નિમણૂક સાથે હવે સરકાર પાસે દેઉબા અને રાજ્યમંત્રી સહિત કુલ સાત મંત્રીઓ છે. ખડકા ૧૯૯૦ માં તત્કાલીન વડાપ્રધાન કૃષ્ણ પ્રસાદ ભટ્ટરાયના સલાહકાર હતા. તેઓ ૨૦૧૪ માં શહેરી વિકાસ મંત્રી પણ હતા.HS