પંજાબની તમામ બેઠકો પર ૨૦ ફેબ્રુઆરીએ મતદાન થશે

ચંદિગઢ, પંજાબમાં વિધાનસભા ચૂંટણીની નવી તારીખ આવી ગઈ છે. હવે અહીંની તમામ ૧૧૭ વિધાનસભા બેઠકો પર ૨૦ ફેબ્રુઆરીએ મતદાન થશે. અગાઉ ચૂંટણી પંચે તારીખ લંબાવવાની માંગને લઈને કોંગ્રેસ, ભાજપ અને પંજાબ લોક કોંગ્રેસ સાથે બેઠક કરી હતી.
બેઠકમાં ચૂંટણી પંચે કોંગ્રેસ અને અન્ય પક્ષોની માગણી પર સહમતિ દર્શાવી હતી. નોંધનીય છે કે, પહેલા પંજાબમાં મતદાનની તારીખ ૧૪ ફેબ્રુઆરી નક્કી કરવામાં આવી હતી, પરંતુ ૧૬ ફેબ્રુઆરીએ રવિદાસ જયંતિને ટાંકીને રાજકીય પક્ષોએ ચૂંટણીને થોડા દિવસો માટે સ્થગિત કરવાની માંગ કરી હતી.
બે દિવસ પહેલા પંજાબના મુખ્યમંત્રી ચરણજીત સિંહ ચન્નીએ ચૂંટણી પંચને પત્ર લખીને ચૂંટણીની તારીખ લંબાવવાની માંગ કરી હતી. તેમણે કમિશનને પત્ર લખ્યો કે ૧૬ ફેબ્રુઆરીએ શ્રી ગુરુ રવિદાસ જયંતિ છે. સીએમ ચન્નીએ વિનંતી કરી છે કે ચૂંટણીની તારીખો ૬ દિવસ માટે લંબાવવામાં આવે.
ચન્નીએ જણાવ્યું હતું કે આ દિવસે ઉત્તર પ્રદેશના વારાણસીમાં મોટી સંખ્યામાં લોકો ગુરુના જન્મસ્થળની મુલાકાત લે છે. આ કારણે ૧૪ ફેબ્રુઆરીએ મતદાન અને યુપીમાં ચૂંટણીને કારણે શ્રદ્ધાળુઓ માટે ત્યાં પહોંચવું મુશ્કેલ બનશે. તેથી ચૂંટણીની તારીખો ૬ દિવસ લંબાવવી જાેઈએ.
આ પછી રવિવારે ભાજપે મુખ્ય ચૂંટણી કમિશનર સુશીલ ચંદ્રાને પણ પત્ર લખીને ચૂંટણી સ્થગિત કરવાની માંગ કરી હતી. ભાજપે રવિદાસ જયંતિનો પણ ઉલ્લેખ કર્યો હતો.
સીએમ ચન્ની અને ભાજપે પત્રમાં લખ્યું છે કે, પંજાબમાં લગભગ ૩૨ ટકા અનુસૂચિત જાતિના લોકો રહે છે. મોટાભાગના લોકો ૧૦થી ૧૬ ફેબ્રુઆરી વચ્ચે યુપી જશે. જેના કારણે તેઓ ચૂંટણીમાં મતદાન કરી શકશે નહીં. આ જાેતા મતદાન ૫થી ૬ દિવસ લંબાવવું જાેઈએ.SSS